દિલ્હી પછી હવે હરિયાણામાં વધી રહેલાં પ્રદૂષણના અતિરેકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પાંચમા ધોરણ સુધીની શાળાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શાળાઓ સરકારના આગામી આદેશો સુધી બંધ રહેશે. જો કે આ ગાળા દરમિયાન શાળાઓ કોરોનાકાળની માફક ઓનલાઇન ક્લાસિસ ચલાવશે. આ બાબતે સ્કૂલ શિક્ષણ તંત્ર તરફથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારે નિર્ણય કર્યો છે કે દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં ગંભીર એક્યૂઆઈ સ્તરને ધ્યાનમાં રાખતાં વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરીશું અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારી તથા ખાનગી શાળાઓમાં પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રજા આપીને તેમને માટે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાનું આયોજન કરવા માટે આવશ્યક ગાઇડ લાઇન્સ જાહેર કરવામાં આવે. સંબંધિત જિલ્લાઓની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શાળાઓનું આકલન અલગ અલગ રીતે કરી શકાય છે.


હરિયાણામાં ભિવાની સૌથી પ્રદૂષિત શહેર

હરિયાણાના આઠ શહેરોનો એક્યૂઆઈ સૌથી વધારે ખરાબ છે અને તેમાં ભિવાની સૌથી વધુ પ્રદૂષિત રહ્યું છે. ભિવાની ઉપરાંત બહાદુરગઢ, સોનીપત, જિંદ, રોહતક, કૈથલ, કરનાલ, ગુરુગ્રામની હવા સૌથી વધારે પ્રદૂષિતની શ્રોણીમાં આવે છે. જ્યારે અન્ય 10 શહેરોનો એક્યૂઆઈ 200થી 300ની વચ્ચે પહોંચી ગયો છે. હરિયાણામાં એનસીઆર જિલ્લાની હાલત વધારે ખરાબ છે અને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.


  • Follow us on: