- હિમાચલ પ્રદેશમાં આભ ફાટતા અનેક જગ્યાએ જળબંબાકાર
- વરસાદી તારાજીને કારણે કુલ 28 લોકો ગુમ થયાની વિગત
- NDRFની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી આભ ફાટ્યાના સમાચાર સામે આવ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં આભ ફાટ્યું. આ સાથે મંડીના પધર સબ-ડિવિઝનના થલતુખોડ વિસ્તારમાં પણ આભ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે. આ બંને જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કુલ 28 લોકો ગુમ થયા છે. NDRFની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી રહી છે.
શિમલામાં 22 લોકો ગુમ
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટના બાદ 22 લોકો લાપતા હોવાના અહેવાલ છે. શિમલાના ડેપ્યુટી કમિશનર (DC) અનુપમ કશ્યપે કહ્યું છે કે SDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.
મંડીમાં એકનું મોત, 11 ગુમ
બીજી તરફ, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના દ્રાંગ વિધાનસભાના ચૌહરઘાટીના તિક્કન અને તેરાંગ ગામમાં વાદળ ફાટવાના અહેવાલ છે, જ્યાં 11 લોકો ગુમ હોવાનું કહેવાય છે. તે જ સમયે, એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેનો મૃતદેહ મળી આવ્યો છે. મકાનોને પણ નુકસાન થયું છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને કહ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
વરસાદે વિનાશ વેતર્યો
હિમાચલ પ્રદેશમાં મોડી રાત્રે મોટા ભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે, કુલ્લુ અને શિમલાની સરહદ પર સ્થિત નિર્મંદ નામના સ્થળે વરસાદને કારણે તબાહીના સમાચાર છે. બીજી તરફ કુલ્લુની સાંજ ઘાટીમાં પણ પાર્વતી નદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો જેથી હાલમાં કોઈ અનિચ્છનીય સમાચાર નથી.
કુલ્લુ જિલ્લાની ત્રીજી ઘટના મણિકર્ણ ખીણમાંથી સામે આવી રહી છે. અહીં મલાણા ડેમ ઓવરફ્લો થયો છે. કેટલાક લોકો એવો પણ ઉલ્લેખ કરી રહ્યા છે કે ડેમની કેટલીક દીવાલ તૂટી ગઈ છે, પરંતુ પાણી ઓછુ થયા બાદ જ ખબર પડશે. હાલ મલાણા ડેમની આજુબાજુ પૂર જોવા મળી રહ્યું છે. પૂરના કારણે મનાલી તરફ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, મનાલી નજીક રાયસનમાં રોડનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે.
અસરગ્રસ્ત વિસ્તાર અંગે જેપી નડ્ડાએ સુખુ સાથે કરી વાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનની નોંધ લીધી છે. જેપી નડ્ડાએ હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ તમામ ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે.









