• બીબીસીની પીએમ મોદીની ડોક્યુમેન્ટરી મુદ્દે વિવાદ વકર્યો
  • ભારતે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
  • બ્રિટનના લોર્ડ રામી રેન્જરે કહ્યું કે, બીબીસીએ કરોડો લોકોની લાગણી દુભાવી છે

બીબીસીની પીએમ મોદીને બદનામ કરતી ડોક્યુમેન્ટરી અને ટીવી શ્રેણીનો વિવાદ વકર્યો છે. રોષે ભરાયેલા ભારતના વિદેશ મંત્રાલયે તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું છે કે ચોક્કસ હેતુથી કોઈ માટે દુષ્પ્રચાર કરવાના હેતુથી આ ડોક્યુમેન્ટરી બનાવાઈ છે. જેમાં પૂર્વગ્રહ, ચોક્કસ હેતુનો અભાવ તેમજ સંસ્થાનવાદી માનસિકતા સ્પષ્ટપણે જોવા મળે છે. આ ડોક્યુમેન્ટરી બનાવવા પાછળ ચોક્કસ એજન્ડા કામ કરી રહ્યો છે જેમાં ગુજરાતનાં 2002નાં રમખાણોનું ખોટી રીતે ચિત્રણ કરાયું છે. ભારતમાં આ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે નહીં. વારંવાર આ મુદ્દાને ચગાવીને પીએમ મોદીની છબી ખરડાવવાનું આ એક પ્રકારનું કાવતરું છે જેનો એજન્ડા તેમને બદનામ કરવાનો છે. અમે આ પ્રકારની હરકતો ચલાવી લઈશું નહીં. બે પાર્ટની આ શ્રેણી ઈન્ડિયા : ધ મોદી ક્વેૃન અંગે તમામ સ્તરેથી બીબીસીની આકરી ટીકા કરવામાં આવી છે.

શું છે વિવાદ?

આ શ્રેણીમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમ અલ્પસંખ્યકો વચ્ચે તંગદિલી પર એક નજર નાંખવામાં આવી છે જેમાં તપાસ દરમિયાન 2002માં થયેલાં રમખાણોમાં તેમની ભૂમિકા હોવાનો દાવો કરાયો છે. આ રમખાણોમાં 1000થી વધુ લોકોનાં મોત થયા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે.

આ સિરીઝમાં મોદી સરકાર દ્વારા દેશના મુસ્લિમો પ્રત્યે વલણ, કથિત વિવાદિત નીતિઓ, કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનો નિર્ણય તેમજ નાગરિકતા કાયદા અંગે સવાલો ઉઠાવાયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં મુસ્લિમો પર હિન્દુઓ દ્વારા હુમલા કરાઈ રહ્યા છે.

ઋષિ સુનક દ્વારા મૂળ પાકિસ્તાની બ્રિટિશ સાંસદની ઝાટકણી

પાક. મૂળના સાંસદ ઉમરાન હુસૈને બ્રિટિશ સંસદમાં ઉઠાવેલા મુદ્દે બ્રિટનના પીએમ સુનકે વડાપ્રધાન મોદીનો બચાવ કર્યો છે અને તેમના પર તીખા તમતમતા પ્રહારો કર્યા છે. ઋષિ સુનકે આ મુદ્દે અંતર જાળવીને આ મુદ્દે આકરી ટીકા કરી હતી તેમણે પાક.ના સાંસદને ઝાટકી નાંખ્યા હતા. બીજી તરફ બ્રિટનના લોર્ડ રામી રેન્જરે કહ્યું કે, બીબીસીએ કરોડો ભારતીય લોકોની લાગણી દુભાવી છે. જેમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા ભારતના પીએમ મોદી તેમજ ભારતના ન્યાયતંત્રનું અપમાન કરવામાં આવ્યું છે. અમે રમખાણો તેમજ પૂર્વગ્રહ ધરાવતા રિપોર્ટિંગની પણ ટીકા કરીએ છીએ.

સુનકે સંસદમાં શું કહ્યું?

સુનકે સંસદમાં કહ્યું હતું કે મિસ્ટર સ્પીકર યુકે સરકારની સ્થિતિ આ મામલે સ્પષ્ટ છે. જે ઘણા લાંબા સમયથી ચાલી આવે છે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. અમે આ પ્રકારની કનડગતને ચલાવી લેતા નથી. કારણ કે ક્યાંય તેનું અસ્તિત્વ જ નથી. હું આ પ્રકારના મોદીનાં ચરિત્ર ચિત્રણ સાથે જરાપણ સંમત નથી. સુનકે કહ્યું કે બ્રિટિશ સાંસદ ઈમરાન હુસૈને પીએમ મોદીને ટાર્ગેટ બનાવવા અને તેમની પ્રતિભા ખરડાવવા બીબીસીની શ્રેણીનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે.

લોકોએ બીબીસીને સલાહ આપી

ભારતીય મૂળના ઘણા લોકોએ બીબીસીને 1943ના બંગાળના દુષ્કાળ પર સિરીઝ બનાવવાની સલાહ આપી હતી જેને પરિણામ સ્વરૂપે કુપોષણ અને બીમારીથી લગભગ 30 લાખ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. એક ટ્વિટર યૂઝરે બીબીસીને બંગાળના અકાળ પર યુકેઃ ધ ચર્ચિલ ક્વેૃન નામની સિરીઝ બનાવવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે 1943માં વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચિલે ભારતીયોનું અન્ન બ્રિટન અને યુરોપના સૈનિકોને મોકલી આપવાનો આદેશ કર્યો હતો.