ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા, જેના પછી એલઓસી પર એલર્ટ કરવામાં આવ્યું હતું. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં બે એકે-47 રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ પહેલા 30 ઓગસ્ટે પણ ભારતીય સેનાના જવાનોએ ચૂંટણી પહેલા એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

બે આતંકવાદીઓ માર્યા ગયા

સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે, 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે લામ સેક્ટરમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓ માર્યા ગયા છે. અત્યાર સુધીમાં તેમની પાસેથી બે એકે-47 અને એક પિસ્તોલ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

  • Follow us on: