ઝારખંડના બોકારો જિલ્લામાં લાગેલી આગમાં ફટાકડાની ઘણી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, કોઈ જાનહાનિના સમાચાર નથી. ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આ ઘટના બોકારો સ્ટીલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ગરગા બ્રિજ પાસે બની હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મળતી માહિતી મુજબ આગના કારણે ગરગા બ્રિજની બન્ને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આગની ઘટના બાદ દુકાનદારોમાં ભાગદોડ મચી ગઈ હતી.

કોઈ જાનહાનિ નહીં

આગ એટલી ભયાનક હતી કે, આગની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના વાદળો છવાયા હતા. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

13-14 દુકાનો બળીને ખાખ

બોકારો શહેરના નાયબ પોલીસ અધિક્ષક આલોક રંજને ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગની ઘટનામાં 13-14 ફટાકડાની દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રે દુકાનદારોને ફટાકડાની દુકાનો ખોલવા માટે કામચલાઉ પરવાનગી આપી હતી. રંજને કહ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ભાજપના નેતાએ નારાજગી વ્યક્ત કરી

આગની ઘટના અંગે દુકાનદારોએ દાવો કર્યો હતો કે, આ ઘટનામાં તેમને મોટું નુકસાન થયું છે. તેમણે વહીવટીતંત્ર પાસેથી નુકસાન માટે વળતરની માંગ કરી છે. ઘટના બાદ બોકારોના ભાજપના ધારાસભ્ય બિરંચી નારાયણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય બિરંચી નારાયણએ કહ્યું કે, જો જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સક્રિય હોત તો આવી ઘટના ન બની હોત.