- આ સિવાય BSF દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન હજુ પણ ચાલુ છે
- છત્તીસગઢના 14 જિલ્લાઓમા નક્સલવાદીઓનો દબદબો
- છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છે
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. કાંકેરના પોલીસ અધિક્ષક ઈન્દિરા કલ્યાણ અલેસેલાએ જણાવ્યું હતું કે કોયલીબેડા વિસ્તારના જંગલમાં જ્યારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે અથડામણ થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં ત્રણ નક્સલીઓના મૃતદેહ અને બે હથિયારો મળી આવ્યા છે. આ સિવાય BSF દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન હજુ પણ ચાલુ છે.
રાજ્યના 14 જિલ્લામાં નક્સલવાદીઓનો દબદબો છે
છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના 14 જિલ્લાઓ - બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે. આંકડાઓ અનુસાર, છત્તીસગઢમાં છેલ્લા ઘણા દિવસોથી નક્સલી હુમલામાં ઘટાડો થઈ રહ્યો નથી. જો જોવામાં આવે તો રાજ્યમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણસોથી વધુ નક્સલવાદી હુમલાઓ થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ 45 જવાનો શહીદ થાય છે.
એક વર્ષમાં 300થી વધુ નક્સલવાદી હુમલા
ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્સલી હુમલાના આંકડા રજૂ કર્યા હતા. આ મુજબ 2022માં રાજ્યમાં 305 નક્સલવાદી હુમલા થયા હતા. અગાઉ, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી 2023 સુધી (માત્ર બે મહિનામાં) છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 7 જવાન શહીદ થયા હતા.