• સૂચન : શિક્ષણને માત્ર ક્લાસરૂમ સુધી સીમિત ન રાખવું જોઈએ

  • પ્રત્યેક શ્રેણીની સ્કૂલોમાં આવશ્યક રમતનાં મેદાનની સીમા અને અપેક્ષિત સુવિધા જરૂરી
  • અદાલતે એમ પણ કહ્યું કે જો કોઈ શાળા આ માપદંડોનું ઉલ્લંઘન કરતી જણાશે તો, સ્કૂલને બંધ કરવા આદેશ

કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે જે શાળાઓમાં રમતગમતનાં મેદાન નથી તે સ્કૂલોને તાળાં મારી દેવાં જોઈએ. અદાલતે એક મહત્ત્વની ટિપ્પણી કરી કે રમતગમત બાળકોનો મૌલિક અધિકાર છે અને શિક્ષણને માત્ર ક્લાસરૂમ સુધી જ સીમિત ન રાખવું જોઈએ. જે રીતે પઠન-પાઠન બાળકો માટે જરૂરી છે, બાળકો માટે રમતગમતનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. તેનાથી બાળકોમાં સર્વાંગીણ વિકાસની ભાવનાનો સંપૂર્ણ વિકાસ કરી શકાય છે. જસ્ટિસ પી.વી. કુન્હિકૃષ્ણન કેસની સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેરળમાં ઘણી સ્કૂલો રાજ્યના શિક્ષણ નિયમો (કેઇઆર) કરતાં જુદી રીતે કાર્ય કરે છે. અદાલતે એમ પણ માન્યું કે કેઇઆરે રાજ્યની સ્કૂલોમાં રમતગમતનાં મેદાનોમાં કેવી કેવી સુવિધાઓ હોવી જોઈએ તે સ્પષ્ટ નથી કર્યું; અને તે કારણે જ સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા તેનો ફાયદો ઉઠાવાય છે.

બાર એન્ડ બેન્ચમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અદાલતે કહ્યું કે શિક્ષણને વર્ગખંડો સુધી સીમિત ન રાખવું જોઈએ અને રમતગમત સહિત ઇતર પ્રવૃત્તિઓ પણ શિક્ષણના અભ્યાસક્રમનો ભાગ બનવી જોઈએ. નવા વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર, તેનાથી બાળકોનું શારીરિક કૌશલ વધે છે. જો બાળકોને શાળાના મેદાનમાં રમવા અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તો બાળકોમાં સામાજિક કૌશલ, જ્ઞાનાત્મક કુશળતા, અને ભાવનાત્મક કૌશલમાં સુધારો કરશે. તેનાથી ચોક્કસપણે બાળકોમાં તણાવ અને ચિંતા ઘટશે.

ચાર મહિનામાં કાર્ય પૂર્ણ કરવા આદેશ

આ માટે અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે તેઓ કેઇઆરના નિયમોને અનુરૂપ દિશાનિર્દેશ તૈયાર કરે અને પ્રત્યેક શ્રેણીની સ્કૂલોમાં આવશ્યક રમતગમતનાં મેદાનની સીમા અને અપેક્ષિત સુવિધાઓને નિર્ધારિત કરવાનો નિર્દેશ કરે. અદાલતે કહ્યું આ કામ ચાર મહિનામાં પૂરું થવું જોઈએ. અદાલતે એમ પણ કહ્યું કે જો કોઈ શાળા આ માપદંડોનું ઉલ્લંઘન કરતી જણાશે તો, સ્કૂલને બંધ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપે.

  • Follow us on: