- છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ
- ભાઈ છે આરોગ્ય મંત્રી, પોતે પણ રહી ચૂક્યા છે
- પોતે જ આપી હતી સોશિયલ મીડિયા દ્વારા જાણકારી
રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુઃખાવો થતા કંકડબાગની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. જોકે, હાલ કોઈ ચિંતાની વાત ન હોવાનું તબીબો જાણવી રહ્યા છે. ડોકટરોએ તેમને કેટલાંક કલાકો માટે ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

પોતે જ આપી હતી સોશિયલ મીડિયા દ્વારા જાણકારી
તેજ પ્રતાપ યાદવે પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. આરજેડી ઓફિસમાં પણ આ વાતની કોઈને જાણ નહોતી. તેમના વિશે રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પીએમસીએચથી લઈને ઈન્દિરા ગાંધી હાર્ટ ડિસીઝ ઈન્સ્ટિટ્યૂટને હોસ્પિટલમાં દાખલ કરવાની માહિતી મળી ન હતી. બાદમાં ખબર પડી કે તેને કંકડબાગની મેડીવર્સલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ તે સમયે હોસ્પિટલથી નજીક હતા કે પછી ઘરથી કેટલાંક કિલોમીટર દૂર આ હોસ્પિટલમાં કોઈ ઓળખાણને કારણે લાવવામાં આવ્યા તે અંગેની હજુ સત્તાવાર માહિતી મળી નથી.
ભાઈ છે આરોગ્ય મંત્રી, પોતે પણ રહી ચૂક્યા છે
તેજ પ્રતાપ યાદવ બિહાર સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ હાલની મહાગઠબંધન સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી છે. ત્યારે, હાલ તેમના નાના ભાઈ અને રાજ્યના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બિહારમાં આરોગ્ય મંત્રી છે. તેજ પ્રતાપ યાદવના બીમાર હોવાના સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા તેમના સમર્થક કંકડબાગ પહોંચવા લાગ્યા છે. તેજ પ્રતાપ પોતાના નિવેદનો અને ભક્તિ શૈલીના કારણે ચર્ચામાં રહે છે. બેંગલુરુથી પરત ફર્યા બાદ તેજસ્વી યાદવે વિપક્ષી એકતા અંગે કોઈ મોટું નિવેદન આપ્યું નથી, પરંતુ તેજ પ્રતાપ સતત જણાવી રહ્યા છે કે આ નામથી ભાજપ કેવી રીતે પરેશાન છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષની એકતાના પ્રયાસોથી કેટલી હદે પરેશાન થવાના છે.