પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવ વચ્ચે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માને ઉધમપુર સ્થિત સેનાના નોર્ધન કમાન્ડના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. સરકારે સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.


ઘણા મહત્વના પદ પર રહી ચૂક્યા છે પ્રતિક શર્મા

આ કમાન્ડર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ પ્રદેશોમાં પાકિસ્તાન અને ચીન સામેના તમામ લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કરે છે. પહેલગામ હુમલા પછી લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્મા પણ તાજેતરમાં આર્મી ચીફ સાથે શ્રીનગર ગયા હતા, જે તેમની સક્રિય ભૂમિકા અને મહત્વપૂર્ણ જવાબદારી બતાવે છે. લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માએ તેમની કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ નિમણૂકો સંભાળી છે, જેમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO), મિલિટરી સેક્રેટરી બ્રાન્ચ અને તાજેતરમાં આર્મી હેડક્વાર્ટર ખાતે સ્થાપિત ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ફર્મેશન વોરફેરના ડિરેક્ટર જનરલ તરીકેનો સમાવેશ થાય છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારનું સ્થાન લેશે, જેઓ ફેબ્રુઆરી 2024માં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પછી ઉત્તરી કમાન્ડના વડા બન્યા હતા અને હવે નિવૃત્ત થઈ રહ્યા છે. એક અનુભવી પાયદળ અધિકારી તરીકે, લેફ્ટનન્ટ જનરલ શર્માની લશ્કરી કારકિર્દી ત્રણ દાયકાથી વધુ લાંબી છે.

પ્રતિક શર્માએ ઘણા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યું

તેમણે ઓપરેશન પવન (શ્રીલંકામાં શાંતિ જાળવણી કામગીરી), ઓપરેશન મેઘદૂત (સિયાચીનમાં જમાવટ), ઓપરેશન રક્ષક (જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી) અને ઓપરેશન પરાક્રમ (2001ના સંસદ હુમલા પછી સરહદ પર જમાવટ) જેવા વિવિધ લશ્કરી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે, જ્યારે સરહદી વિસ્તારોમાં સુરક્ષા પડકારો વધી ગયા છે અને ઉત્તરી કમાન્ડનું વ્યૂહાત્મક મહત્વ પહેલા કરતા વધારે વધી ગયું છે. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માના નેતૃત્વ હેઠળ ઉત્તરીય કમાન્ડ સુરક્ષા મોરચાને મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.

  • Follow us on: