- લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદીનો જોરશોરથી પ્રચાર
- પીએમ મોદીએ બિહારમાં સંબોધી બીજી રેલી
- પીએમ મોદીએ અગાઉ ગયામાં સંબોધી હતી રેલી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. નેતાઓના પક્ષ બદલવાથી લઈને રાજકીય નિવેદનો સુધીનો સિલસિલો ચાલુ રહે છે. આવી સ્થિતિમાં PM મોદી વધુ એકવાર બિહાર પહોંચી ગયા છે. બિહારના પૂર્ણિયામાં તેઓએ સભા સંબોધી હતી.
સંવિધાનને તોડવા મરોડવાનુ કામ કર્યુ
PM મોદીએ સભા સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યુ છે કે દેશના ખૂણે ખૂણે બાબા સાહેબની સંવિધાનની ભાવનાઓને લઇને જઇશું. દેશની યુવા પેઢીને ગૌરવશાળી સંવિધાન નિર્માણની પ્રક્રિયા અને મહત્વ જણાવીશું, પરંતુ બીજી તરફ એવા લોકો છે જેમણે કટોકટીમાં સંવિધાનને રદ કરવા, સંવિધાનને તોડવા મરોડવાનું કામ કર્યું. આપણે યાદ રાખવાનું છે કે જે લોકો સત્તા અને સરકાર એક પરિવારના હાથમાં રાખવા માગે છે તેમની નજરમાં બંધારણ હંમેશા ખટકે છે. એટલે આ લોકો સંવિધાન રૂપથી થતી ચૂંટણીના પરિણામને નકારવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ આ લોકોના મનસૂબા સફળ થવા દેવાના નથી.
ઘમંડી ગઠબંધને રામમંદિરનું અપમાન કર્યું- પીએમ મોદી
પીએમ મોદીએ કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આવતીકાલે રામ નવમીનો પવિત્ર તહેવાર છે. આ લોકો રામ મંદિર વિશે પણ કહેતા હતા કે દેશમાં આગ લાગશે. આજે રામ મંદિર સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. હતાશ કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધન લોકો રામ મંદિરનું અપમાન કરી રહ્યા છે. તેઓ સનાતનનો નાશ કરવાની વાત કરી રહ્યા છે.
આ લોકો જંગલરાજ લાવવા ઇચ્છે છે- પીએમ મોદી
પીએમ મોદીએ જંગલ રાજનો ઉલ્લેખ કર્યો અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.નિતીશજીના નેતૃત્વમાં અમે તે યુગને બદલ્યો છે. હવે તેઓ મહા જંગલરાજના યુગની વાપસી ઈચ્છે છે. તેમનો એજન્ડા લૂંટ અને ભ્રષ્ટાચાર છે. પણ પીએમ મોદીના નેતૃત્વમાં આ શક્ય નથી. હું કહું છું ભ્રષ્ટાચાર દૂર કરો, તેઓ કહે છે ભ્રષ્ટાચાર બચાવો. પીએમ મોદીએ આગામી પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે વધુ મોટી કાર્યવાહીની ખાતરી આપી હતી. મહત્વનું છે કે પીએમ મોદીએ પૂર્ણિયા અને કટિહારના એનડીએ ઉમેદવારના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી.









