મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશકુમાર કૈતના સરકારી આવાસમાંથી એક મંદિર હટાવાયાના મુદ્દે હોબાળો થયો છે. હાઈકોર્ટ બાર એસોસિયેશને મંદિર હટાવવા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. વકીલોના સંઘે આ મુદ્દે હવે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાને ફરિયાદ કરી છે.


બાર એસોસિયેશનને સીજેઆઇ ખન્નાને પત્ર લખીને આ કેસમાં તપાસ કરવા અને ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. સીજેઆઇને લખેલા પત્ર અનુસાર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સરકારી બંગલામાં હનુમાનનું મંદિર હતું. આ બંગલામાં હાઈકોર્ટના ઘણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશો પૂજાઅર્ચના કરતા હતા, જેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તા પણ સામેલ રહ્યા છે. આ બધા જજ પછીથી પ્રમોશન મળતાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમના ઉપરાંત મુખ્ય ન્યાયાધીશના આવાસમાં કામ કરનારા ઘણા કર્મચારીઓ પણ મંદિરમાં પૂજાઅર્ચના કરતા હતા. ફરિયાદી પત્રમાં કહેવાયું છે કે જસ્ટિસ કૈતની પહેલાંં ઘણા મુસ્લિમ ચીફ જસ્ટિસ પણ રહ્યા હતા પરંતુ એ લોકોએ ક્યારેય આની સામે વાંધો ઉઠાવ્યો નહોતો.

મંદિરને સરકારી સંપત્તિ ગણાવી

બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, બાર એસોસિએશને સીજેઆઇને લખેલા પત્રમાં કહ્યું છે કે ચીફ જસ્ટિસનો બંગલો અને તે બંગલામાં મંદિર - બંને સરકારી સંપત્તિ છે. ઘણી વાર આ મંદિરનું પુનર્નિર્માણ પણ સરકારી નાણાથી કરવામાં આવ્યું છે. તેથી, સરકારની મંજૂરી વગર કે કોઈ કાયદેસરના આદેશ વગર તેને ધ્વસ્ત નહોતું કરવું જોઈતું. પત્રમાં એમ પણ કહેવાયું છે કે એ બંગલામાં સનાતન ધર્મને માનનારા મુખ્ય ન્યાયાધીશ અને કર્મચારી રહે છે, તેથી તેમને પોતાની ધાર્મિક પૂજાઅર્ચના માટે દૂર જઈને પોતાનો કીમતી સમય બગાડવો નથી પડતો. આવું કૃત્ય સનાતન ધર્મના અનુયાયીઓનું અપમાન છે.


  • Follow us on: