મહારાષ્ટ્રના અમરાવતીમાં એક બસ નિયંત્રણ બહાર 70 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 40 થી વધુ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના મેલઘાટના સીમાડોહ પાસે બની હોવાની વિગતો મળી રહી છે.


અમરાવતી જિલ્લાના મેલઘાટ વિસ્તારમાં સીમાડોહ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અહીં એક બસ પુલની નીચે 70 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. બસમાં મુસાફરી કરી રહેલા 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, બસ અમરાવતીથી ખંડવા જઈ રહી હતી. તે દરમિયાન સીમાડોહ પાસે 60-70 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકી હતી.  આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બસમાં લગભગ 50-55 મુસાફરો સવાર હતા. ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી, ચિખલદરા પોલીસ સ્ટેશનની મદદથી, ઘાયલોને પરતવાડા અને અમરાવતીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે.

  • Follow us on: