મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બુધવારે વહેલી સવારે નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરીને તેનું મોત નીપજ્યું હતું. વન અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બાળક જુન્નર તહસીલના તેજીવાડીમાં તેના ઘરની નજીક ખેતરમાં ગયો હતો, તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ખેતરમાં શૌચાલય માટે ગયેલા નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બાળકના દાદા પણ નજીકમાં જ હતા. જુન્નર વિસ્તારના નાયબ વન સંરક્ષક અમોલ સાતપુતેએ જણાવ્યું હતું કે, 'એવું લાગે છે કે જ્યારે બાળક શૌચ કરવા ગયો હતો ત્યારે એક દીપડો તેના પર હુમલો કરીને તેને ખેતરોમાં લઈ ગયો હતો.' તેણે કહ્યું, 'બાદમાં બાળકનું શરીર મળ્યું, જેના પર ગંભીર ઘા હતા.' અધિકારીએ જણાવ્યું કે બાળકના માતા-પિતા ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે અને અહમદનગર જિલ્લાના રહેવાસી છે. તેમણે કહ્યું, 'ઘટના પછી ગામ અને આસપાસના વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આ વિસ્તારમાં દીપડો છે.'
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વરુ, દીપડા અને શિયાળ દ્વારા હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. સરકાર પણ આ પ્રકારના હુમલાથી ચિંતિત છે અને વન વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ પણ આવા હુમલાઓ ઓછા થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ સંજોગો ખરેખર ડરામણા છે.