રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) એ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી. આ યાદીમાં શરદ જૂથના NCPએ નાગપુર જિલ્લાની કાટોલ બેઠક પરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ અહીંથી ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેમની જગ્યાએ પાર્ટીએ તેમના પુત્ર સલિલ દેશમુખને કાટોલથી ઉમેદવાર બનાવ્યા છે.


અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત

પાર્ટીએ માનમાંથી પ્રભાકર ખર્ગે, વઘઈથી અરુણાદેવી પિસાલ, દાઉદથી રમેશ થોરાત, પુસદથી શરદ મેંદ, સિંધખેડાથી સંદીપ બેડસે અને ખાનપુરથી વૈભવ પાટીલને ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે શરદ જૂથે અત્યાર સુધીમાં 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.

MVAએ કેટલા ઉમેદવારો કર્યા જાહેર ?

મહા વિકાસ અઘાડીએ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 265 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં કોંગ્રેસના 99, શિવસેના યુબીટીના 84 અને એનસીપી શરદ જૂથના 82 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યારે હવે MVAએ 23 વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની છે.

મહાયુતિએ કેટલા ઉમેદવારો કર્યા જાહેર ?

મહાયુતિએ અત્યાર સુધીમાં 260 બેઠકો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં ભાજપના 146, શિવસેના શિંદે જૂથના 65 અને NCP અજીત જૂથના 49 ઉમેદવારોનો સમાવેશ થાય છે. મહાયુતિએ હજુ 28 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે.

ક્યારે છે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.


  • Follow us on: