મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી. 26 નવેમ્બરે કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. ત્યારે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે મહારાષ્ટ્ર બીજેપીના સ્થાનીય નેતાઓ દિલ્ગી જવાના છે. ત્યારે ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો પહેલા મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે મોટી જાહેરાત કરી છે.
આજ રાતથી લાગુ થશે નિયમ
મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે ટોલ ફીની સંપૂર્ણ માફીની જાહેરાત કરી છે. આ નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. આ જાહેરાત બાદ નાના વાહનોને પાંચેય ટોલ બૂથ પર કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં. ત્યારે જાણો કયા ટોલ બૂથ પર નહી આપવો પડે ટેક્સ.
1) દહિસર
2) મુલુંડ (LBS રૂટ)
3) મુલુંડ (ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે)
4) વાશીમાં સાયન-પનવેલ હાઇવે
5) એરોલી ક્રીક બ્રિજ
ઘણા સમયથી હતી માગ
મહત્વનું છે કે કેબિનેટનો આ નિર્ણય આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મહાયુતિની તરફેણમાં રીઝવવા માટેના અનેક લોકપ્રિય નિર્ણયો બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) એ મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવ્યા હતા. જેની કિંમત વસૂલવા માટે પ્રથમ મુંબઈના પ્રવેશદ્વારો પર ટોલ બૂથ બનાવવામાં આવ્યા હતા. બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં પહોંચતાની સાથે જ વર્ષ 1999માં ટોલ બૂથ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વર્ષ 2002માં તમામ પાંચ ટોલ બૂથ કાર્યરત થયા. મુંબઈ ટોલ બૂથ પરના એન્ટ્રી પોઈન્ટ પર ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું
ટોલ માફ કરવા થયા હતા આંદોલનો
મહારાષ્ટ્રમાં, મુખ્યત્વે મુંબઈમાં, MNS અને ઘણા કાર્યકરો ટોલ માફ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તાજેતરમાં UBT સેના અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ પણ મુંબઈમાં ટોલ માફ કરવાની માંગ કરી હતી.