મેટા ઈન્ડિયાએ તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી બદલ માફી માગી લીધી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારત સહિત ઘણા દેશોમાં શાસક સરકારો કોવિડ-19 રોગચાળાના સંચાલનને લઈને ચૂંટણી હારી ગઈ હતી. તેમના નિવેદન બાદ ભારતમાં હોબાળો મચી ગયો હતો.
માર્ક ઝુકરબર્ગે કરી હતી ટિપ્પણી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ કરીને મેટા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. તે જ સમયે, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ પણ મેટા પર કાર્યવાહી કરવાની વાત કરી હતી. મેટાના સીઈઓ જો રોગન સાથેના પોડકાસ્ટમાં ઝુકરબર્ગે કહ્યું, 'ચૂંટણી માટે 2024નું વર્ષ મહત્વપૂર્ણ હતું. કોવિડ-19ને કારણે મોટાભાગના દેશોમાં શાસક પક્ષોને હારનો સામનો કરવો પડ્યો. ભારત પણ તેમાંથી એક છે. તેમણે કોવિડ-19 રોગચાળાના સંચાલન અને તેનાથી ઉદ્ભવતા આર્થિક સંકટને સરકારો પ્રત્યે અવિશ્વાસનું મુખ્ય કારણ ગણાવ્યું.
મેટા ઈન્ડિયાએ માગી લીધી માફી
માર્ક ઝુકરબર્ગના આ નિવેદન પછી મેટા ઈન્ડિયાએ તરત જ પ્રતિક્રિયા આપી અને માફી માગી લીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ટીકા પર પ્રતિક્રિયા આપતા, મેટા ઈન્ડિયાના ઉપાધ્યક્ષ શિવનાથ ઠુકરાલે લખ્યું, 'માર્કનું નિવેદન કે ઘણા દેશોના શાસક પક્ષો 2024માં ચૂંટણી હારી ગયા તે ઘણા દેશોને લાગુ પડી શકે છે, પરંતુ ભારતને નહીં. મેટાએ માફી માગતા કહ્યું કે 'અજાણતામાં ભૂલ' થઈ ગઈ અને ભારતના લોકો પાસે માફી માગી છે.
નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તેમણે માફી માગવી પડશે
ભાજપના સાંસદ અને સંચાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ આ મુદ્દા પર મેટાને સમન્સ મોકલવાની વાત કરી હતી. તેને ખોટી માહિતી ગણાવતા તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ કોઈપણ લોકશાહી દેશની છબીને કલંકિત કરે છે. દુબેએ કહ્યું, મેટાએ આ ભૂલ માટે ભારતીય સંસદ અને દેશના લોકો પાસે માફી માગવી પડશે.
META માટે ભારત કેમ મહત્વનું છે?
મેટા ઈન્ડિયા ભારતને તેના મહત્વપૂર્ણ બજારોમાંનું એક માને છે. ઠુકરાલે જણાવ્યું હતું કે કંપની ભારતની ડિજિટલ અને નવીન સંભાવના સાથે ઊંડે સુધી જોડાયેલી છે. જોકે, આ વિવાદ સ્પષ્ટ કરે છે કે આંતરરાષ્ટ્રીય મંચો પર કરવામાં આવતી ટિપ્પણીઓ કેટલી ગંભીર હોઈ શકે છે અને દેશોની છબી પર તેની શું અસર પડી શકે છે. મેટાના નિવેદન અને માફીથી વિવાદ અમુક અંશે શાંત થઈ શકે છે, પરંતુ ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે.













