- શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે મોટા સમાચાર
- હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી
- હિન્દુ પક્ષના દાવા અંગે સુનાવણી યોગ્ય ગણાવી
મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને ઝટકો આપ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. જ્યારે હિંદુ પક્ષની અરજી યોગ્ય ગણાવી છે. કોર્ટે હિંદુ પક્ષની અરજીની સુનાવણીને યોગ્ય ઠેરવી છે.આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે.મંદિરના પક્ષમાં નિર્ણય આવ્યો છે. હવે કેસ ચાલશે.
હિંદુ પક્ષની અરજીને માન્ય રાખી
મહત્વનું છે કે આ મામલે હિંદુ પક્ષે 18 અરજી કરી હતી અને શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિંદુઓની માલિકીની ગણાવી હતી. આ સાથે હિન્દુ પક્ષે પણ ત્યાં પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો. હિંદુ પક્ષની અરજી બાદ મુસ્લિમ પક્ષે પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિંદુ પક્ષની અરજીઓને ફગાવી દેવાની માંગ કરી હતી. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. મતલબ કે હવે અલ્હાબાદ હાઈકોર્ટમાં હિંદુ પક્ષની 18 અરજીઓ પર એક સાથે સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે 6 જૂને સુનાવણી થઇ ત્યારે હાઇકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હિંદુ પક્ષની 18 અરજીઓ સામે મુસ્લિમ પક્ષે ઓર્ડર 7 તથા નિયમ 11 હેઠળ આ અરજીઓની જાળવણી પર સવાલો કરીને અરજી નકારી કાઢવાની અપીલ કરી હતી.
હિન્દુ પક્ષકારોએ શું કરી દલીલ
- ઇદગાહનો આખો અઢી એકર વિસ્તાર ભગવાન કૃષ્ણનું ગર્ભગૃહ છે.
- શાહી ઇદગાહ મસ્જિદ સમિતિ પાસે જમીનનો આવો કોઇ રેકોર્ડ નથી.
- શ્રી કૃષ્ણ મંદિરને તોડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે.
- માલિકીના અધિકારો વિના, વકફ બોર્ડે આ જમીનને કોઈપણ માન્ય પ્રક્રિયા વિના વકફ મિલકત તરીકે જાહેર કરી છે.
મુસ્લિમ પક્ષકારોએ શું કરી દલીલ
- મુસ્લિમ પક્ષકારો દલીલ કરે છે કે 1968માં આ જમીન પર બંને પક્ષો વચ્ચે કરાર થયો હતો. 60 વર્ષ પછીના કરારને ખોટો કહેવું યોગ્ય નથી. તેથી કેસ મેન્ટેનેબલ નથી.
- આ કેસ પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 હેઠળ પણ મેન્ટેનેબલ નથી.
- 15 ઓગસ્ટ 1947ના રોજ જે રીતે ધાર્મિક સ્થળની ઓળખ અને પ્રકૃતિ હતી તે જ રહેશે. એટલે કે તેનો સ્વભાવ બદલી શકાતો નથી.