દેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં નકસલવાદનો કહતમો બોલાવવા કેન્દ્ર સરકાર મક્કમ છે ત્યારે સુરક્ષા દળો પણ છત્તીસગઢના જંગલમાં સતત ઓપરેશન કરી રહ્યા છે. આ દરમિયાન બિજાપુર ક્ષેત્રમાં સેનાને મોટી સફળતા મળી છે. જેના ઉપર 50 લાખનું ઈનામ હતું તેવો નક્સલી નેતા સુધાકર ઠાર માર્યો ગયો છે.
સુધાકર ઉર્ફે નરસિંહચાલમ ચાર દાયકાથી માઓવાદી આંદોલનમાં સામેલ હતો. હાલમાં તેની સાથે ચાલી રહેલી મૂઠભેડમાં DRG, STF અને કોબ્રા કમાન્ડોની સંયુક્ત ટીમે તેને મારી નાખ્યો હતો. તેને માર્યા બાદ સુરક્ષા દળોને મોટી સંખ્યામાં હથિયારો મળ્યા હતા.
ત્રણ રાજ્યમાં નેટવર્ક ધરાવતો હતો
માઓવાદી પાર્ટીની કેન્દ્રીય સમિતિનો સભ્ય સુધાકર મોસ્ટ વોંટેડ હતો. તે તેલંગાણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં મોટું નેટવર્ક ધરાવતો હતો. તે આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના ચિંતાલપુડીના પ્રગદાવરામનો રહેવાસી હતો. તેના મોતથી નક્સલી આંદોલનને ધક્કો લાગ્યો છે અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
નક્સલ વિરોધી અભિયાન ગતિમાં
અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ, બિજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રમાં ગુરુવારે સવારે વિશેષ અભિયાન ચલાવાયું હતું. જેમાં સ્વચલિત હથિયારો પણ પકડાયા હતા. સુધાકર અગાઉ તેમનો મહાસચિવ બસવરાજુ પણ માર્યો ગયો હતો. જેના ઉપર 1.50 કરોડનું ઈનામ હતું. અન્ય કેટલાય નક્સલીઓ માર્યા ગયા હોવાની માહિતી છે. તો બીજી બાજુ અમુક આત્મસમર્પણની તૈયારી કરી રહ્યા છે.