પાર્ટીમાંથી નિષ્કાસિત ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ ખુલ્લેઆમ બળવો જાહેર કરી દીધો છે. પાર્ટીમાં ચાલી રહેલા આ ઘમાસાણ વચ્ચે સૂત્રોના જણાવ્યા મુજબ બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ TMCના 59 ધારાસભ્યોના મજબૂત સમર્થનનો દાવો કર્યો છે. આ દાવા બાદ વિધાનસભાના સમગ્ર આંકડાકીય સમીકરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
મમતા બેનર્જી પાસે માત્ર 21 ધારાસભ્યો?
મળતી માહિતી મુજબ 59 ધારાસભ્યોના બળવાખોર વલણ બાદ સત્તાવાર રીતે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC પાસે હવે માત્ર 21 ધારાસભ્યો જ બચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે TMC હાલમાં ગંભીર રાજકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
રિપોર્ટ અનુસાર TMCના બાગી ધારાસભ્યો વિધાનસભા પહોંચી ગયા છે, જ્યાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ રથીન્દ્ર બોઝ સાથે મુલાકાત કરશે. આ માટે સ્પીકર પણ વિધાનસભા પહોંચી ગયા હોવાનું કહેવાય છે. સ્પીકર સાથેની મુલાકાત દરમિયાન ઋતબ્રત બેનર્જી વિપક્ષના નેતાના મુદ્દે પોતાની માંગ રજૂ કરશે.
બાગી ધારાસભ્યોની શું છે માંગ?
TMCના બાગી ધારાસભ્યોની માંગ છે કે શોભનદેવ ચટ્ટોપાધ્યાયના બદલે પાર્ટીના અન્ય કોઈ વરિષ્ઠ નેતાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) તરીકે નિયુક્ત કરવામાં આવે. આ માંગને લઈને તેમણે કડક વલણ અપનાવ્યું છે.
બીજી તરફ, બાગી ધારાસભ્યોમાં સામેલ મુસ્તફિઝુર રહમાને જણાવ્યું કે TMCના 59 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું, “અમે બધા મમતા બેનર્જીના વિરોધમાં નથી, પરંતુ અમારી માંગ છે કે કોઈ વરિષ્ઠ નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે.”
વિધાનસભાના હાલના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો આ અભૂતપૂર્વ બળવા બાદ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC પાસે માત્ર 21 વફાદાર ધારાસભ્યો બચ્યા હોવાનું કહેવાય છે, જેના કારણે પાર્ટીમાં ગંભીર વિભાજનનો ખતરો ઊભો થયો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPએ શાનદાર પ્રદર્શન કરતાં 207 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને TMCને સત્તાથી દૂર કરી હતી.