દેશની મોટી FMCG કંપની ITCને 'આશીર્વાદ શુદ્ધ ચક્કી આટા'ના પેકેટ પર '100%' લખવાના વિવાદમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કંપનીનું લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે, કોર્ટે આગામી સુનાવણી સુધી FSSAIને લાઈસન્સ રદ કરવા અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાનો નિર્દેશ આપ્યો છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો?

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે મંગળવારે ITCની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 9 સપ્ટેમ્બરે યોજાનારી આગામી સુનાવણી સુધી આ મામલે કોઈ અંતિમ કાર્યવાહી કરવામાં ન આવે. સાથે જ કોર્ટે FSSAI સહિત અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આ સમગ્ર વિવાદ FSSAIની 28 મેની એડવાઈઝરી બાદ શરૂ થયો હતો. તેમાં ફૂડ કંપનીઓને લેબલ, પેકેજિંગ અથવા જાહેરાતોમાં '100%' શબ્દનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. 

ITCને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી 

ત્યારબાદ 10 ઓગસ્ટે ITCને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને 30 દિવસમાં જવાબ માગવામાં આવ્યો હતો. 13 ઓગસ્ટે કંપનીને 'ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ' પણ આપવામાં આવી હતી, જેમાં 15 દિવસમાં પેકેટ પરથી '100%' શબ્દ હટાવવાની શરત મૂકવામાં આવી હતી. ITCએ કોર્ટમાં દલીલ કરી કે FSSAIની એડવાઈઝરી મનસ્વી છે. કંપનીના વકીલના જણાવ્યા અનુસાર, 2020ના લેબલિંગ નિયમો અને 2018ના જાહેરાત નિયમોમાં '100%' શબ્દના ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ નથી. બીજી તરફ, FSSAIએ દિલ્હી હાઈકોર્ટના અધિકારક્ષેત્ર પર જ સવાલ ઉઠાવ્યો છે. આ મુદ્દે કોર્ટે બંને પક્ષોને સંક્ષિપ્ત લેખિત નોંધ રજૂ કરવા કહ્યું છે. હવે 9 સપ્ટેમ્બરની સુનાવણી પર સૌની નજર છે.

આ પણ વાંચો : Tarun Tejpal case : દુષ્કર્મ કેસમાં તરુણ તેજપાલની અરજી ફગાવી, આત્મસમર્પણ કરવાનો SCનો આદેશ