મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસા ખાતે સરકારી શાળાની વ્યવસ્થાને લઈને શરૂ થયેલો વિવાદ હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચ્યો છે. ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ શાળાનું નિરીક્ષણ કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકે સહિત પાંચ લોકો સામે પોલીસે કેસ નોંધ્યો છે. શિક્ષકોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

https://twitter.com/abhijeet_dipke/status/2090373107249012771

મળતી માહિતી મુજબ, અભિજીત દીપકેએ શાળાની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજનની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બાળકોને ભોજન પીરસવા માટે નવી પ્લેટો લાવવામાં આવી હતી અને શાળા પ્રશાસનને તેમના નિરીક્ષણની જાણ થયા બાદ જ આ પ્લેટો મગાવવામાં આવી હતી.

અન્ય શાળાના વિદ્યાર્થીઓને બોલાવવાની જરૂર શા માટે પડી?

દીપકેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભોજન માટે બેઠેલા કેટલાક બાળકો તે શાળાના વિદ્યાર્થીઓ નહોતા. તેમના દાવા મુજબ, નિરીક્ષણ દરમિયાન બીજી એક સ્કૂલમાંથી બાળકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને લગભગ એક કલાક સુધી શાળા પરિસરમાં બેસાડવામાં આવ્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જો શાળામાં તમામ વ્યવસ્થા યોગ્ય હતી તો નવા વાસણો લાવવાની અને અન્ય શાળાના વિદ્યાર્થીઓને બોલાવવાની જરૂર શા માટે પડી?

પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ કર્યો

બીજી તરફ, શિક્ષકોએ પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, અભિજીત દીપકે અને તેમની સાથે આવેલા લોકોએ પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા અને તેમના ફોટા પણ લીધા હોવાનો આરોપ છે. શિક્ષકોએ એવો પણ દાવો કર્યો કે વાંધો ઉઠાવતાં તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કરવામાં આવ્યું અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી. ફરિયાદના આધારે ઔસા પોલીસે અભિજીત દીપકે, અજિંક્ય શિંદે સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. હવે પોલીસ સમગ્ર મામલે બંને પક્ષના આક્ષેપોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Jaipur : FCRA રજિસ્ટ્રેશન વિના રૂપિયા 2.20 કરોડનું વિદેશી ફંડ મળ્યાની માહિતી, EDએ બે સ્થળે દરોડા પાડ્યા