પવિત્ર અમરનાથ યાત્રા 2026 દરમિયાન એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. ઉધમપુર જિલ્લાના સમરોલી વિસ્તારમાં આવેલા ટોલડી નાલા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 5 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં એક મહિલાની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કાબૂ ગુમાવતા કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ જવા માટે રવાના થયા હતા. તેઓ પહેલગામ જઈ રહેલા મુખ્ય જથ્થા (જૂથ) સાથે એક અર્ટિગા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમની કાર ઉધમપુર જિલ્લાના સમરોલી પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી ઝડપી કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં આવેલી સુરક્ષા દીવાલ સાથે જોરદાર રીતે અથડાઈ પડી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા યાત્રાળુઓ પૈકી સીમા ગુપ્તા નામના મહિલા શ્રદ્ધાળુને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમની સ્થિતિ હાલ ચિંતાજનક બનેલી છે.
