રામ મંદિરના દાન ચોરીના મામલામાં તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.હવે આ કેસમાં સામે આવેલા પોલીસ દસ્તાવેજોથી પહેલીવાર એ સ્પષ્ટ થયું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી સૌથી વધુ રોકડ રકમ કોની પાસેથી મળી છે.દસ્તાવેજો મુજબ, સૌથી વધુ રકમ અવિનાશ શુક્લા પાસેથી મળી છે.આ ઉપરાંત, સાત આરોપીઓએ પૂછપરછ દરમિયાન કથિત રીતે સ્વીકાર્યું હતું કે મંદિરમાં દાનની ગણતરી વખતે ચોરી અને ઉચાપત કરવામાં આવી હતી.દસ્તાવેજોમાં એ પણ નોંધાયેલું છે કે પોલીસ કાર્યવાહી પહેલા મંદિર ટ્રસ્ટે આરોપીઓ પાસેથી કેટલીક રકમ પાછી પણ મેળવી લીધી હતી.
દાનની રકમની ગણતરી વખતે જ ચોરી થઈ
તપાસમાં સૌથી મોટો ખુલાસો અવિનાશ શુક્લાને લઈને થયો છે.ધરપકડ સમયે તૈયાર કરવામાં આવેલા પોલીસ દસ્તાવેજો અનુસાર,તેણે પૂછપરછમાં કથિત રીતે સ્વીકાર્યું કે દાનની રકમની ગણતરી વખતે ચોરી અને ઉચાપત કરવામાં આવી હતી.તેની તપાસમાં 20 લાખ 39 હજાર 220 રૂપિયા,1,121 અમેરિકન ડોલર, ચાંદી જેવી ધાતુની એક વસ્તુ, બે સોનાની ચેઈન અને એક વીંટી મળી આવી હતી.અત્યાર સુધીની તપાસમાં આ સૌથી મોટી રિકવરી માનવામાં આવી રહી છે. આ કેસમાં અયોધ્યા પોલીસે અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રમાકાંત મિશ્રા, કરુણેશ પાંડે, રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નૂ, મનીષ કુમાર યાદવ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી.તમામ આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને સમગ્ર મામલાની તપાસ એસઆઈટી (SIT) કરી રહી છે.

