પટના શહેરમાં બુધવારની મોડી રાતે થયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં પાંચ વેપારીઓના મોતા નિપજ્યા છે. આ ઘટના પટના-ગયા-ડોભી ફોરલેન પર આવેલા પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે ઘટવા પામી હતી. મૃતકોમાં રાજેશકુમાર (કુર્જી), સંજયકુમાર સિન્હા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલકુમારનો સમાવેશ થાય છે. દરેક મૃતક જંતુનાશક દવાઓ અને કૃષિ ઉત્પાદનોના વેપારીઓ હતા.


ભયંકર અકસ્માતમાં પાંચના મોત

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. તમામ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. કટર અને ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તેઓને પોસ્ટમોર્ટમ માટે પી.એમ.સી.એચ. મોકલવામાં આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ તેમના મોબાઇલ ફોન અને દસ્તાવેજો પરથી કરવામાં આવી. પરિવારજનોને તરત જ જાણ કરવામાં આવી અને તેઓ રાત્રે જ હોસ્પિટલ પહોંચ્યા છે.

પાંચેય વ્યક્તિઓ વેપારીઓ હતા

મળતી માહિતી પ્રમાણે આ પાંચેય લોકો ફતુહા પરથી પાછા ફરી રહ્યા હતા. રાજેશકુમારની જંતુનાશક દવાઓ અને કૃષિ ઉત્પાદનોની એજન્સી છે. તમામ વેપારીઓ બિહટા-સરમેરા રોડથી પસાર થઈને પાછા આવી રહ્યા હતા ત્યારે ચાલતી ટ્રકમાં પાછળથી કાર ઘૂસી ગઇ હતી. કાર ટક્કર બાદ ટ્રકમાં ફસાઈ ગઈ. ટ્રકના ડ્રાઇવર ને તરત ખબર પડી નહોતી. પછી અન્ય વાહનચાલકોએ ટ્રકને રોકી અને પોલીસને જાણ કરી.


  • Follow us on: