આ ઘટના શહેરના કોતવાલી વિસ્તારમાં આવેલી બીએલ વિદ્યા મંદિર રહેણાંક અને ડે સ્કૂલમાં બની હતી.

શાળા પર બેદરકારીના આરોપ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બીએલ વિદ્યા મંદિર રહેણાંક શાળામાં મોમોઝ ખાધા પછી ઘણા બાળકો બીમાર પડ્યા હતા. પરિણામે બે બાળકોના મોત થયા હતા. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં બીજા બાળકની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી પરિવારોમાં ગભરાટ ફેલાયો છે. શાળા મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આરોપો લાગી રહ્યા છે. પોલીસ વહીવટીતંત્ર આ બાબતની તપાસ કરી રહ્યું છે.

પરિવારોમાં અફરાતફરીનો માહોલ

બાળકોની હાલત બગડતા, શાળા મેનેજમેન્ટે તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડોકટરોએ 12 વર્ષના નીતિનને મૃત જાહેર કર્યો હતો. ગંભીર રીતે બીમાર અન્ય એક બાળક, 8 વર્ષનો અરુણને વધુ સારી સારવાર માટે મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતો. ત્રીજું બાળક હજુ પણ જિલ્લા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બાળકોના પરિવારોમાં અફરાતફરીનો માહોલ છે. હોસ્પિટલમાં દાખલ બીમાર બાળકો અને તેમના પરિવારોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓએ શાળામાં મોમોઝ ખાધા હતા, અને તેના થોડા સમય પછી, તેમને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો અને પછી તબિયત લથડી હતી. 

પોલીસ તપાસ શરુ 

પરિસ્થિતિની ગંભીરતા અંગે, જિલ્લાના વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાંદાના અધિક પોલીસ અધિક્ષક શિવરાજે જણાવ્યું હતું કે, કોતવાલી નગર વિસ્તારમાં રહેણાંક શાળામાં ભણતા 12 અને 8 વર્ષના બે બાળકો બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારોને જાણ કરવામાં આવી છે, અને પોલીસ પોસ્ટમોર્ટમ કરી રહી છે.

આ પણ વાંચોઃ ચીનનો ઔદ્યોગિક વિકાસ થયો ધીમો, ભારતે 7.8% મેન્યુફેક્ચરિંગ ગ્રોથ સાથે લીધી ઝડપી છલાંગ