સરકારે પેટ્રોલમાં ઇથેનોલના વધતા મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી સૂચના અનુસાર 22% થી 30% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E22 થી E30) પર હવે એક્સાઈઝ ડ્યુટી લાગુ નહીં થાય. આ નિર્ણયનો હેતુ દેશમાં વધુ ઇથેનોલ આધારિત ફ્યુઅલને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેની કિંમતમાં ઘટાડો થઈ શકે. આ પગલાથી પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને વેગ મળવાની, ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થવાની અને ઇથેનોલ ઉત્પાદનને ઉત્તેજન મળવાની અપેક્ષા છે.
ધીમે ધીમે બદલાતું ફ્યુઅલ સિસ્ટમ
પેટ્રોલ પંપ અને વાહનો તો એ જ રહેશે, પરંતુ વાહનોમાં ભરાતું ઇંધણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયને ફ્યુઅલ સિસ્ટમમાં મોટા પરિવર્તન તરફનું પગલું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં દેશમાં E20 ફ્યુઅલની ચર્ચા પૂર્ણ થઈ નથી ત્યાં જ સરકાર E22, E25, E27 અને E30 જેવા વધુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે માર્ગ તૈયાર કરી રહી છે. એક્સાઈઝ ડ્યુટીમાં છૂટ આપીને સરકારે આ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં હાઈ ઇથેનોલ ફ્યુઅલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થશે.
સરકારની લાંબા ગાળાની રણનીતિ
વિશેષજ્ઞોના મતે આ નિર્ણય માત્ર કર રાહત નથી પરંતુ સરકારની લાંબા ગાળાની ઊર્જા નીતિનો ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇથેનોલ બ્લેન્ડિંગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અગાઉ સરકારે સમય કરતાં વહેલું E20 ટાર્ગેટ હાંસલ કરવાની જાહેરાત પણ કરી હતી.
તાજેતરમાં ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા E22 થી E30 ફ્યુઅલ માટે નવા ગુણવત્તા ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. IS 19850:2026 અંતર્ગત ઇથેનોલનું પ્રમાણ, ઓક્ટેન રેટિંગ, સલ્ફર લિમિટ, ટેસ્ટિંગ પ્રક્રિયા અને સુરક્ષા માપદંડોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ધોરણો 15 મે 2026થી અમલમાં આવી ગયા છે.
ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગનો વિકાસ
ભારતમાં ઇથેનોલ મિશ્રણનો દર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. 2021-22માં આ દર લગભગ 10% હતો, જે 2022-23માં 12.06% સુધી પહોંચ્યો. 2023-24માં તે વધીને 14.60% થયો, જ્યારે 2024-25 દરમિયાન તે લગભગ 17.98% નોંધાયો.
આગળના તબક્કામાં દેશે 19% બ્લેન્ડિંગનું લક્ષ્ય હાંસલ કર્યું અને 2025-26માં E20 ધોરણને ફરજિયાત રીતે લાગુ કરવામાં આવ્યું. એપ્રિલ 2026 સુધીમાં 515 કરોડ લિટરથી વધુ ઇથેનોલ પુરવઠો નોંધાયો, જે બાયોફ્યુઅલ મિશનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.
E20 અંગે પડકારો શું ?
ઇથેનોલ મિશ્રણના ફાયદા સાથે કેટલાક પડકારો પણ સામે આવ્યા છે. ઘણા વાહન માલિકોએ દાવો કર્યો છે કે E20 ફ્યુઅલના ઉપયોગ પછી માઈલેજમાં ઘટાડો, એન્જિન પ્રદર્શન પર અસર અને કેટલાક આંતરિક પાર્ટ્સને નુકસાન જેવી સમસ્યાઓ જોવા મળી છે.
આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે E20 પેટ્રોલ સામેની અરજીને ફગાવી દીધી હતી.
જનતા પર શું અસર ?
હાલમાં તાત્કાલિક રીતે પેટ્રોલ પંપ પર કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ આગામી સમયમાં E22 થી E30 જેવા ફ્યુઅલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
તાજેતરમાં દિલ્હીના પુસા રોડ પર ઇન્ડિયન ઓઇલના એક આઉટલેટ ખાતે દેશનું પહેલું E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે E85 ફ્યુઅલ માત્ર ખાસ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો માટે જ છે.
આ દરમિયાન હીરો મોટોકોર્પે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી પર આધારિત બાઇક્સ રજૂ કરી છે, જ્યારે મારુતિ સુઝુકીએ પણ ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝનનું પ્રદર્શન કર્યું છે. હાલ આ વાહનો બજારમાં ઉપલબ્ધ નથી, પરંતુ તબક્કાવાર લોન્ચની યોજના છે.
ગ્રાહકોમાં વધતી ચિંતા
સરકારની આ નીતિ વચ્ચે ગ્રાહકોમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. લોકલ સર્કલ્સના સર્વે મુજબ લગભગ 43% સંભવિત ખરીદદારો E20 અને ભવિષ્યના E30 ફ્યુઅલને લઈને ચિંતિત છે. ઘણા લોકો આ કારણે કાર ખરીદવાની યોજના સ્થગિત કરી શકે છે.
આ સર્વેમાં દેશના 311 જિલ્લાઓમાંથી 28,000થી વધુ લોકોની અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?













