નાણાં મંત્રાલયે એક RTIના જવાબમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY હેઠળ દેશનું લગભગ દર ચોથું ખાતું નિષ્ક્રિય છે. એટલે કે દેશના લગભગ દર ચોથા ખાતામાં કોઈ લેવડદેવડ થતી નથી. બીજી તરફ, લગભગ 5.72 કરોડ ખાતાઓમાં એક પણ રૂપિયો જમા નથી. નિષ્ક્રિય ખાતા અને શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતા, આ બંને મામલે ઉત્તર પ્રદેશ દેશભરમાં પ્રથમ ક્રમે છે.
પ્રધાનમંત્રી જનધન યોજના ઓગસ્ટ, 2014માં શરૂ કરવામાં આવી હતી. દેશના દરેક પરિવારને ઓછામાં ઓછું એક બેંક ખાતું, બેંકિંગ સેવાઓ સુધી પહોંચ, નાણાકીય સમજણ અને સામાજિક સુરક્ષા મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ મુજબ, 12 ઓગસ્ટ, 2026 સુધી દેશમાં PMJDYના કુલ 59,03,74,907 ખાતા હતા. આ ખાતાઓમાં કુલ 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હતી. RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે કરેલી અરજીના જવાબમાં વિભાગે જણાવ્યું કે કુલ ખાતાઓમાંથી 32.89 કરોડ ખાતા મહિલાઓના અને 26.14 કરોડ ખાતા પુરુષોના છે. આંકડા મુજબ, 5,72,35,490 ખાતાઓમાં કોઈ રકમ જમા નહોતી. જ્યારે 15,36,77,009 ખાતા નિષ્ક્રિય હતા.
શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રિય ખાતામાં ઉત્તર પ્રદેશ પ્રથમ
શૂન્ય બેલેન્સ એટલે કે કોઈ રકમ ન ધરાવતા જનધન ખાતાઓની સંખ્યામાં ઉત્તર પ્રદેશ 95.92 લાખ ખાતા સાથે સૌથી આગળ છે. ત્યારબાદ બિહાર 62.35 લાખ, પશ્ચિમ બંગાળ 37.20 લાખ, આસામ 36.30 લાખ અને મહારાષ્ટ્ર 36.04 લાખ સાથે આવે છે. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 3.23 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બિહાર 1.59 કરોડ, મધ્ય પ્રદેશ 1.35 કરોડ, પશ્ચિમ બંગાળ 1.02 કરોડ અને મહારાષ્ટ્ર 97.94 લાખ સાથે આવે છે. કુલ જનધન ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 10.51 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. બિહારમાં 7.01 કરોડ, પશ્ચિમ બંગાળમાં 5.73 કરોડ, રાજસ્થાનમાં 3.87 કરોડ અને મહારાષ્ટ્રમાં 3.85 કરોડ ખાતા છે.
આ અંગેની માહિતી સરકાર પાસે નથી.
1 સપ્ટેમ્બરે આપવામાં આવેલા RTIના જવાબમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર પુરુષો અને મહિલાઓના જનધન ખાતાઓમાં રહેલી રકમ અને નિષ્ક્રિય ખાતાઓના આંકડાની અલગથી વિગતો રાખતી નથી.
આ ઉપરાંત, 100 રૂપિયાથી ઓછી રકમ ધરાવતા ખાતા, છેલ્લા 5 વર્ષમાં બંધ થયેલા ખાતા અને શંકાસ્પદ લેવડદેવડ અથવા સાઇબર છેતરપિંડીના કારણે બ્લોક કે ફ્રીઝ કરાયેલા ખાતાઓની માહિતી પણ કેન્દ્ર સ્તરે ઉપલબ્ધ નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડાયેલો આ આંકડો કુલ 36 એકમોનો છે.