આ યોજના હેઠળ પેટ્રોલિયમ મંત્રાલય દેશની સરકારી તેલ કંપનીઓ (OMCs) ને વ્યાજ વગર એડવાન્સ રકમ ચૂકવશે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને વિમાનના ઈંધણના ભાવમાં થતી ભારે વધઘટની સીધી અસરથી એરલાઇન્સ કંપનીઓને બચાવી શકાય. સરકારના આ વ્યૂહાત્મક નિર્ણયથી એવિએશન સેક્ટર સાથે જોડાયેલી આશરે 77 લાખ નોકરીઓ સુરક્ષિત થવાની આશા છે.

અશ્વિની વૈષ્ણવે કરી મહત્વની જાહેરાત 

કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "આજે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેબિનેટે 6 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેમાંથી પ્રથમ નિર્ણય પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વિમાનના ઈંધણ (ATF) ના આસમાને પહોંચેલા ભાવથી એવિએશન સેક્ટરને રક્ષણ આપવાનો છે. આ માટે ખાસ ‘ATF પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ’ (ATF Price Stabilization Fund) ની સ્થાપના કરવામાં આવી છે.

https://twitter.com/ANI/status/2062111529600946535

આ રાહત યોજનાની 5 મુખ્ય અને મોટી વાતો 

તેલ કંપનીઓને ₹10,000 કરોડની વ્યાજમુક્ત સહાય: સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આ ભંડોળ આપશે, જેથી તેઓ એરલાઇન્સ કંપનીઓને સસ્તા દરે અને નિયંત્રિત ભાવે એટીએફ (વિમાનનું ઈંધણ) પૂરું પાડી શકે.

સરકારને રકમ પરત મળશે: આ કોઈ સબસિડી નથી, પરંતુ એક અસ્થાયી વ્યવસ્થા છે. જ્યારે વૈશ્વિક બજારમાં એટીએફના ભાવ ઘટશે, ત્યારે તેલ કંપનીઓ આ રકમ તબક્કાવાર રીતે સરકારને પરત કરશે.

તમામ ભારતીય એરલાઇન્સને મળશે લાભ: આ સ્કીમનો લાભ લેવા ઈચ્છતી તમામ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ જોડાઈ શકે છે. તેનો ફાયદો ઘરેલું (Domestic) અને આંતરરાષ્ટ્રીય (International) બંને પ્રકારની ફ્લાઇટ્સને મળશે.

સ્થિર ઈંધણ દર: આ વ્યવસ્થાના કારણે એરલાઇન્સ કંપનીઓને લાંબા સમય સુધી ઈંધણના સ્થિર ભાવો મળશે. પરિણામે, કિંમતોમાં અચાનક થતા મોટા ઉછાળાનો ખતરો ટળશે અને કંપનીઓ પોતાનું નાણાકીય આયોજન વધુ સારી રીતે કરી શકશે.

3 વર્ષ સુધી સરકારી કંપનીઓ પાસેથી જ ખરીદી: આ યોજનાનો લાભ લેનારી એરલાઇન્સ કંપનીઓએ મહત્તમ ત્રણ વર્ષ સુધી માત્ર સરકારી તેલ કંપનીઓ પાસેથી જ ઈંધણ ખરીદવું પડશે. આ નિયમની દર વર્ષે સમીક્ષા કરવામાં આવશે.


આ નિર્ણયથી દેશને અને મુસાફરોને શું ફાયદો થશે?

  • એરલાઇન્સ કંપનીઓના દૈનિક ઓપરેશનમાં સ્થિરતા આવશે અને આર્થિક કટોકટી ટળશે.
  • વિમાની ભાડામાં (Airfares) અચાનક થતો મોટો વધારો અટકશે, જેનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને થશે.
  • નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારો વચ્ચેની પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી (Regional Connectivity) અવરોધ વિના ચાલુ રહેશે.
  • પ્રવાસન (Tourism), હોટેલ ઉદ્યોગ, લોજિસ્ટિક્સ, વેપાર અને વિદેશી રોકાણ જેવા આડકતરી રીતે જોડાયેલા ક્ષેત્રોને મોટો સપોર્ટ મળશે.

સરકારને આ અસાધારણ પગલું ભરવાની કેમ જરૂર પડી?

મિડલ ઈસ્ટના તણાવને કારણે વિમાનના ઈંધણના ભાવમાં અત્યંત ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. આંકડાકીય નજરે જોઈએ તો:

  • માર્ચ 2026 માં કિંમત: આશરે ₹60.50 પ્રતિ લીટર હતી.
  • મે 2026 માં કિંમત: વધીને સીધી આશરે ₹142 પ્રતિ લીટર પર પહોંચી ગઈ.

એટલે કે માત્ર બે જ મહિનામાં ઈંધણના ભાવમાં આશરે 2.5 ગણો જંગી વધારો ઝીંકાયો છે. સામાન્ય રીતે એરલાઇન્સ કંપનીઓના કુલ સંચાલન ખર્ચ (Operating Cost) માં 40% હિસ્સો ઈંધણનો હોય છે, જે ભાવવધારાને કારણે વધીને 60% સુધી પહોંચી ગયો હતો.

https://twitter.com/ANI/status/2062112057127022945

આ ઉપરાંત, ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાનનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ થવાને કારણે યુરોપ, ઉત્તર અમેરિકા અને સેન્ટ્રલ એશિયા જતી ફ્લાઇટ્સને લાંબા રૂટ પરથી જવું પડી રહ્યું છે. લાંબા રૂટના કારણે ઈંધણનો વપરાશ અને ઓપરેટિંગ ખર્ચ બંને બમણા થઈ ગયા છે. ઉડ્ડયન ક્ષેત્રને આ આર્થિક આંચકા અને સંભવિત પતનથી બચાવવા માટે કેન્દ્ર સરકારે આ મોટો રાહત પેકેજનો નિર્ણય લીધો છે.


₹39,290 કરોડના છ મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી 

બુધવારે, કેન્દ્રીય મંત્રીમંડળે કુલ ₹39,290 કરોડના છ મુખ્ય પ્રોજેક્ટ્સને સત્તાવાર રીતે મંજૂરી આપી, જેનો ઉદ્દેશ્ય દેશના માળખાગત સુવિધાને મજબૂત બનાવવા અને ઉડ્ડયન ક્ષેત્રને નાણાકીય આંચકાઓથી બચાવવાનો છે. આ નીતિગત નિર્ણયોની સીધી અસર સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગ, વાણિજ્યિક પરિવહન પ્રણાલીઓ અને વિવિધ રાજ્યોમાં આંતર-શહેર કનેક્ટિવિટીની બેલેન્સ શીટ પર પડશે. આ મેગા પેકેજ દિલ્હીમાં પ્રદૂષણ સ્તરને કાબુમાં રાખવા અને ચાર મુખ્ય રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિસ્તરણને વેગ આપવાના પ્રયાસો સાથે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક ખાસ ભંડોળ સ્થાપિત કરવા પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરે છે.



આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?