રવિવારે અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રાજ્યના વિવિધ પવિત્ર ધામોના દર્શન કર્યા છે. જોકે, આ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય કારણોસર 161 યાત્રાળુઓના મૃત્યુના દુઃખદ સમાચાર પણ સામે આવ્યા છે.
કેદારનાથમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના રિપોર્ટ મુજબ, 22 એપ્રિલે કપાટ ખુલ્યા બાદથી બાબા કેદારનાથના દર્શન માટે સૌથી વધુ 11,05,676 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ત્યારબાદ 23 એપ્રિલથી શરૂ થયેલી બદ્રીનાથ ધામની યાત્રામાં 9,08,619 યાત્રાળુઓએ દર્શન કર્યા છે.
અન્ય ધામોની વાત કરીએ તો:
ગંગોત્રી મંદિરમાં 5,28,406 શ્રદ્ધાળુઓ પહોંચ્યા
યમુનોત્રી મંદિરમાં 5,07,421 યાત્રાળુઓએ દર્શન કર્યા
શીખોના પવિત્ર તીર્થસ્થળ શ્રી હેમકુંડ સાહિબમાં 55,411 શ્રદ્ધાળુઓએ માથુ ટેકવ્યુ
આ ઉપરાંત, ગૌમુખ માર્ગ પર પહોંચેલા 4,697 યાત્રાળુઓની સંખ્યાને પણ ગંગોત્રીના આંકડામાં સામેલ કરવામાં આવી છે.
વાહનોની અવરજવર અને ભારે ભીડ
ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર શનિવારે જ 61,262 યાત્રાળુઓ 5,511 વાહનોમાં સવાર થઈને વિવિધ ધામોમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષની યાત્રા શરૂ થયા બાદથી અત્યાર સુધી કુલ 2,89,918 વાહનો યાત્રામાર્ગો પર દોડ્યા છે, જેના કારણે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો વહીવટીતંત્ર પર ભારે દબાણ છે.
આરોગ્ય સમસ્યાઓને કારણે 161 યાત્રાળુઓના મોત
એક તરફ આસ્થાનો મહાસાગર ઉમટી રહ્યો છે, તો બીજી તરફ મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બન્યો છે. 19 એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 161 યાત્રાળુઓના મૃત્યુ થયા છે.
રિપોર્ટ મુજબ:
152 શ્રદ્ધાળુઓના મોત ઊંચા પહાડી વિસ્તારોમાં તબિયત બગડવા, હાર્ટ એટેક અથવા ઓક્સિજનની અછત જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓને કારણે થયા.
8 યાત્રાળુઓના મૃત્યુ વિવિધ અકસ્માતોમાં થયા.
1 વ્યક્તિનું મૃત્યુ કુદરતી કારણોસર થયું.
પ્રશાસન દ્વારા યાત્રાળુઓને આરોગ્ય તપાસ કરાવવા, પૂરતું પાણી પીવા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.