દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક અને અન્ય મુખ્ય માંગણીઓને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન સતત યથાવત છે. આંદોલન વચ્ચે CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ નિવેદન આપ્યું છે કે સરકારે વાતચીત માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ તટસ્થ સ્થળ પસંદ કરવામાં આવે અથવા જંતર-મંતર પર જ ચર્ચા થાય, તો તેઓ સરકાર સાથે વાત કરવા માટે તૈયાર છે અને આમાં કોઈ સમય બગાડવામાં આવશે નહીં.

જંતર મંતર વિરોધ પ્રદર્શન યથાવત

આશુતોષ રંકાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન માત્ર ચાર જ મુખ્ય સૂત્રો—'ભારત માતા કી જય', 'ઇન્કલાબ ઝિંદાબાદ', 'જય ભીમ' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે'—સુધી મર્યાદિત રહેવું જોઈએ. તેમણે કોઈ પણ પ્રકારની નકારાત્મક કે અફવા ફેલાવતી વાતોને નકારી કાઢી હતી. અગાઉ કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપતા રંકાએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 20 જુલાઈનું પ્રદર્શન તો માત્ર એક 'ટ્રેલર' હતું. જો સરકાર ટૂંક સમયમાં યુવાનોની માંગણીઓ નહીં સ્વીકારે, તો આઝાદી પછીના ભારતના આ સૌથી મોટા આંદોલનમાં લાખો લોકો દિલ્હી તરફ કૂચ કરશે અને ચૂપ બેસી રહેશે નહીં.
https://twitter.com/ANI/status/2079843250211569834

પ્રદર્શનકારીઓ પર લાગેલી હિંસાના આરોપોને નકાર્યા

પ્રદર્શનકારીઓ પર લાગેલા હિંસાના આરોપોને ફગાવતા તેમણે દાવો કર્યો હતો કે 20 જુલાઈની કૂચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતી, પરંતુ પોલીસે બળપ્રયોગ કરતા અરાજકતા ફેલાઈ હતી. યુવાનો છેલ્લા 31 દિવસથી મહાત્મા ગાંધી અને ડૉ. બી.આર. આંબેડકરના સિદ્ધાંતોનું પાલન કરીને શાંતિથી વિરોધ કરી રહ્યા છે. આંદોલન સમાપ્ત કરવા માટે તેમણે મુખ્ય શરત મૂકતા કહ્યું છે કે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર રદ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ નવા કેસ ન થાય તેની ખાતરી આપવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે તેમનું નેતૃત્વ UAPA કે NSA જેવી ગંભીર કલમોથી ડરતું નથી અને જેલ જવું તેમના માટે સામાન્ય વાત છે. આ લડાઈ માત્ર વિદ્યાર્થીઓની નથી પરંતુ દેશના દરેક યુવાનના ભવિષ્યની છે, તેથી તમામ રાજકીય પક્ષોએ પણ આંદોલનને સમર્થન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ Jammu Kashmir: અનંતનાગમાં આતંકી હુમલો, પોલીસ હેડકોન્સ્ટેબલ શહીદ