જીવલેણ કોલ્ડ્રિફ કફ સિરપ મામલે મધ્ય પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરતા શ્રીસન મેડિકલના માલિક રંગનાથનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી એ ઘટના બાદ થઇ છે. જેમાં કથિત રૂપે દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશના 20 બાળકોના મોત નીપજ્યા છે. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથનને આ મામલે પૂછપરછ કરવામાં આવશે.
ધરપકડમાં મદદ કરનાર વ્યક્તિઓને ઇનામની જાહેરાત
આ પહેલાં મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર મામલાને જોતા શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો પર ઇનામ જાહેર કર્યુ હતુ. પોલીસે આરોપીઓની ધરપકડમાં મદદ કરનાર વ્યક્તિઓને 20,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ, કંપનીના ફરાર માલિકોની જલ્દી ધરપકડ સુનિશ્ચિત કરવાને લઇને એક વિશેષ એસઆઇટી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેનું પરિણામ રંગનાથનની કસ્ટડીના રૂપમાં સામે આવ્યુ છે.










