વિશ્વપ્રસિદ્ધ અને હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર એવા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે અચાનક ગોળીબાર થતાં ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો. આ ઘટના મંદિરના ગેટ નંબર 4બી પર બની હતી, જ્યાં સુરક્ષામાં તૈનાત પીએસીના એક જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી. સદનસીબે આ એક દુર્ઘટના હતી અને કોઈ મોટો આત્મઘાતી હુમલો ન હોવાથી મોટી રાહત સર્જાઈ હતી. જો કે, આ મિસફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહતની વાત એ છે કે કોઈને સીધી ગોળી વાગી નથી, પરંતુ ગોળીના છરા વાગવાને કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ફુલહારનો વ્યવસાય કરતા 3 લોકો ઘાયલ

સમાચાર માધ્યમોના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓ મંદિરની બહાર ફૂલ-હારનો વ્યવસાય કરતા સ્થાનિક દુકાનદારો છે. ઈજાગ્રસ્તોની ઓળખ નિક્કી ગુપ્તા, રામબાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. ઘટના બનતાની સાથે જ સુરક્ષામાં તૈનાત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવાયા

ત્રણેય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની મંડળીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તમામની હાલત સ્થિર છે અને ચિંતા જેવી કોઈ બાબત નથી. હાલમાં મંદિરમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે.

મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે

ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા કાશી વિશ્વનાથ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે, જેથી અહીંની સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવામાં આવે છે. સાર્વજનિક અને સંવેદનશીલ સ્થળો પર સરકારી હથિયારોના હેન્ડલિંગમાં લાપરવાહીને કારણે આવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આ ગંભીર ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે આખરે કયા સંજોગોમાં અને કોની લાપરવાહીથી આ મિસફાયરિંગ થયું.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે