મહારાષ્ટ્રના પુણેમાં ચર્ચાસ્પદ કેતન અગ્રવાલ હત્યા કેસમાં મહત્વપૂર્ણ અપટેડ સામે આવ્યું છે. પુણે ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ આરોપી સિયા ગોયલે પોલીગ્રાફ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ માટે સંમતિ આપી છે. પોલીસનું માનવું છે કે આ ટેસ્ટ દ્વારા કેસ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો અને સંભવિત રહસ્યો સામે આવી શકે છે.

સિયાએ પોલીગ્રાફ ટેસ્ટ માટે લેખિત મંજૂરી આપી

સિયા ગોયલના વકીલે જણાવ્યું કે સિયાએ ગુરુવારે લોનાવાલા ગ્રામ્ય પોલીસ સમક્ષ પોલીગ્રાફ ટેસ્ટ માટે લેખિત મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ આગામી થોડા દિવસોમાં આ ટેસ્ટ કરવામાં આવી શકે છે. આ દરમિયાન સિયાના પિતા પ્રવીણ ગોયલે પણ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે કેસમાં જે કોઈ દોષિત હશે તેને કડક સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે જો તેમની પુત્રી સિયા પણ ગુનેગાર સાબિત થાય તો તેને પણ કાયદા મુજબ સખત સજા મળવી જોઈએ. તેમણે પોલીસની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો અને નિષ્પક્ષ તપાસની માગ કરી.

શુક્રવારે ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી પૂર્ણ થશે

તપાસ દરમિયાન પોલીસે સિયાને તે સ્થળે પણ લઈ ગઈ હતી, જ્યાં કથિત રીતે કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડાયું હતું. ઉપરાંત, પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં આવેલા સિયાના નિવાસસ્થાનેથી ઘટનાના દિવસે પહેરેલા કપડાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે સિયા ગોયલ અને સહઆરોપી ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી પૂર્ણ થઈ રહી છે. બંનેને વડગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસે વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માગ કરી શકે છે.

પોલીસ તપાસ મુજબ લોહગઢ કિલ્લા પર સિયાએ પૂર્વનિર્ધારિત સંકેત આપ્યા બાદ તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કેતન અગ્રવાલને ખીણમાં ધક્કો માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. હાલ સમગ્ર કેસની વિવિધ પાસાઓથી તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Username Controversy : વોટ્સએપ બાદ IT મંત્રાલયે 'ટેલીગ્રામ' અને 'સિગ્નલ' એપને પણ ફટકારી નોટિસ