પંજાબના લુધિયાણામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 22 વર્ષીય દુકાનદાર રછપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જૂતાની દુકાનની આડમાં શહેરની મહત્વપૂર્ણ ગતિવિધિઓ અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સુધી પહોંચાડતો હતો.
https://twitter.com/Ludhiana_Police/status/2093715536542880204
27 ઓગસ્ટે આરોપીને ઝડપી પાડ્યો
કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને લુધિયાણા કમિશનરેટ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 27 ઓગસ્ટે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન દુકાનની બહાર લગાવવામાં આવેલા ચીનમાં બનેલા બે CCTV કેમેરા શંકાસ્પદ જણાયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને કેમેરા એવી રીતે લગાવવામાં આવ્યા હતા કે તેમની સામે રસ્તો દેખાય. આ કેમેરાની લાઈવ ફીડ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ જોઈ શકતા હતા. આરોપીએ લુધિયાણા-ફિરોઝપુર રોડ પર બડ્ડોવાલ એમ્યુનિશન ડેપોથી આશરે 6 કિલોમીટર દૂર દુકાન ભાડે લીધી હતી. તેના માટે તે દર મહિને ₹40 હજાર ભાડું ચૂકવતો હતો.
હેન્ડલર્સના નિર્દેશ પર દુકાન ભાડે લીધી હોવાનું કબૂલ્યું
કાઉન્ટર ઈન્ટેલિજન્સના AIG સિમરત પાલ સિંહ ઢીંડસાના જણાવ્યા મુજબ પૂછપરછમાં આરોપીએ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના નિર્દેશ પર દુકાન ભાડે લીધી હોવાનું કબૂલ્યું છે. પોલીસનો દાવો છે કે આ જાસૂસીના બદલામાં તેને પાકિસ્તાની હેન્ડલર્સ તરફથી આશરે ₹3 લાખ મળ્યા હતા.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અલગ-અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા ફોન કરતો હતો. પોલીસને આશંકા છે કે લુધિયાણામાં મોટી ઘટનાને અંજામ આપવાના કાવતરામાં આ નેટવર્કની ભૂમિકા હોઈ શકે છે. સૈન્ય ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી પણ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરીને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : Lucknow News: હિન્દુવાદી નેતા Dhirendra Pratap Singhની ગોળી મારી હત્યા, કેનાલમાંથી મળ્યો મૃતદેહ