દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુના કેસમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની 10 વર્ષની સજાને સ્થગિત કરવાનો ઈનકાર કરી દીધો છે . કોર્ટે કુલદીપ સેંગરની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ રવિન્દર દુડેજાએ નોંધ્યું હતું કે સેંગરે કુલ 10 વર્ષની સજામાંથી આશરે 7.5 વર્ષ કસ્ટડીમાં વિતાવ્યા હતા અને આ કેસમાં સજા સામેની તેમની અપીલનો નિર્ણય લેવામાં વિલંબ સેંગરની અનેક અરજીઓને કારણે થયો હતો. તેથી, તેમણે જામીન અને સજા સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી.
શું કહ્યું કોર્ટે?
2017ના બળાત્કાર કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્યને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યાના અઠવાડિયા પછી આ અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાની સેંગરના કહેવા પર ધરપકડ કરવામાં આવી હતી અને 9 એપ્રિલ, 2018ના રોજ પોલીસ ક્રૂરતાને કારણે કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું હતું. માર્ચ 2020માં દિલ્હીની એક કોર્ટે સેંગર અને અન્ય લોકોને તેના મૃત્યુ માટે દોષિત ઠેરવ્યા અને તેમને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
કોર્ટે સજા સ્થગિત કરવાનો ઈનકાર કર્યો
જજે વધુમાં ભાર મૂક્યો કે સજા સંભળાવ્યા પછી કેસમાં એવો કોઈ વિકાસ થયો નથી કે જેનાથી કોર્ટ અપીલકર્તાની તરફેણમાં પોતાનો ચુકાદો આપી શકે. સેંગરના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં લેતા કોર્ટે ઠરાવ્યું કે ગુનાની ગંભીરતા અને સંયુક્ત તથ્યો અને સંજોગોને કારણે આ તબક્કે સજા સ્થગિત કરવાની જરૂર નથી.
અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે અપીલની સુનાવણી યોગ્યતાના આધારે કરવામાં આવશે અને તેની વહેલી તકે સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો. ન્યાયાધીશ દુદેજાએ ભાર મૂક્યો કે સજાને સ્થગિત કરીને વચગાળાની રાહત આપવાને બદલે અપીલ પર અંતિમ નિર્ણય લેવાનો યોગ્ય માર્ગ રહેશે.
જૂન 2024માં પણ કોર્ટે અરજી ફગાવી દીધી
ઉલ્લેખનીય છે કે જૂન 2024માં હાઈકોર્ટે સેંગરની સમાન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે ઠરાવ્યું હતું કે જ્યારે ગુનાની ગંભીરતા, ગુનાની પ્રકૃતિ, દોષિત વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ અને ન્યાયતંત્રમાં લોકોના વિશ્વાસ પર અસર જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, ત્યારે સેંગર સજા સ્થગિત કરવાનો હકદાર નથી. સેંગર 13 એપ્રિલ, 2018થી કસ્ટડીમાં છે અને કસ્ટોડિયલ ડેથ કેસમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. 2018માં ટ્રાયલ કોર્ટે તેને અન્ય આરોપીઓ સાથે દોષિત ઠેરવ્યો હતો.
આ પણ વાંચો: BMC Politics: BMCનો મેયર કોણ? શિંદે જૂથ કિંગ મેકરની ભૂમિકામાં, જાણો કેવી રીતે