દિલ્હી હાઈકોર્ટે બુધવારે સંગીતકાર એ.આર. રહેમાનને મોટી રાહત આપીને તેમના વિરુદ્ધ સિંગલ જજના વચગાળાના આદેશને રદ કર્યો. આ આદેશ મણિરત્નમની તમિલ ફિલ્મ "પોનીયિન સેલ્વન 2 (PS2)" ના લોકપ્રિય ગીત "વીરા રાજા વીરા"સંબંધિત કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપોના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો. જસ્ટિસ સી. હરિ શંકર અને ઓમ પ્રકાશ શુક્લાની ડિવિઝન બેન્ચે રહેમાનની અપીલને મંજૂરી આપતા કહ્યું, "અમે અપીલને મંજૂરી આપીએ છીએ અને સૈદ્ધાંતિક રીતે સિંગલ જજના આદેશને રદ કરી હતી
સંગીત ક્યાં મેળ ખાય છે?
જોકે, બેન્ચે એ પણ સ્પષ્ટતા કરી કે તેણે કોપીરાઈટ ઉલ્લંઘનના મુખ્ય મુદ્દા પર, એટલે કે ઉલ્લંઘનના પાસા પર કોઈ ટિપ્પણી કરી નથી. આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પદ્મશ્રી ફૈયાઝ વસિફુદ્દીન ડાગરે સિંગલ જજ સમક્ષ અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે "વીરા રાજા વીરા" ની સંગીત રચના તેમના પિતા, નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા, ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત ધ્રુપદ-શૈલી "શિવ સ્તુતિ" માંથી લેવામાં આવી છે. ડાગરે દાવો કર્યો હતો કે ગીતના શબ્દો અલગ હોવા છતાં, તેની લય, ગતિ અને સંગીતની પેટર્ન પરંપરાગત "શિવ સ્તુતિ" સાથે મેળ ખાય છે જે તેમના પરિવારે વર્ષોથી રજૂ કરી છે અને પાન રેકોર્ડ્સના આલ્બમમાં શામેલ છે.
એ.આર. રહેમાનનો અભિપ્રાય
જવાબમાં, એ.આર. રહેમાને આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા, અને કહ્યું કે "શિવ સ્તુતિ" એક પરંપરાગત ધ્રુપદ રચના છે અને જાહેર ક્ષેત્રમાં આવે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે "વીરા રાજા વીરા" એક સંપૂર્ણપણે મૌલિક રચના છે, જેમાં પશ્ચિમી સંગીત તકનીકો અને 227 સ્તરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી નોંધપાત્ર રીતે અલગ છે. અગાઉ, 25 એપ્રિલના રોજ, એક જજે ડાગરની વચગાળાની અરજી મંજૂર કરી હતી અને રહેમાન અને ફિલ્મ નિર્માતાઓને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ડાગર ભાઈઓને યોગ્ય શ્રેય આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રહેમાન અને નિર્માતાઓ પર ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને તેમને ₹2 કરોડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.