દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે રાજ્યમાં શાળાના શિક્ષકોને મતદાર યાદીઓના SIR સંબંધિત કાર્ય માટે શા માટે તૈનાત કરાયા? 

દિલ્હી HCની EC સામે લાલ આંખ 

દિલ્હી HCએ પૂછ્યું છે કે, શું તમે કલમ 324ની આડમાં જે ઇચ્છો તે કરો છો? કોઈને પણ માનદ વેતન કે વળતર આપવામાં રસ નથી. શું તમારા દ્વારા જારી કરાયેલા નિર્દેશો જરૂરી ગણી શકાય? શું તમે ફક્ત એમ કહી શકો છો કે અમે વળતર આપી રહ્યા છીએ, તો આવો, અને તેમની રજાઓ બગાડો? શું તેમને આરામની જરૂર નથી? કોર્ટે ચૂંટણી પંચને એવો પણ પ્રશ્ન કર્યો કે, તે કયા અધિકાર હેઠળ શાળાના શિક્ષકોને SIR પર કામ કરવાનો નિર્દેશ આપી રહ્યું છે. જ્યારે ECI એવા શિક્ષકોને સજા કરી શકે છે. જેઓ SIR પર કામ કરતા નથી.

ચૂંટણી પંચની કોર્ટમાં દલીલો

ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સંજય વશિષ્ઠે દલીલ કરી હતી કે દિલ્હીમાં SIR પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને અંતે, ફક્ત 10-14% શાળાના શિક્ષકોને મતદાર યાદી સુધારણા ફરજો માટે બોલાવવામાં આવ્યા હતા. વશિષ્ઠે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 13B(2) હેઠળ કર્મચારીઓને તૈનાત કરવાની સત્તા છે, અને આ શક્તિનો ઉપયોગ કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે થાય છે.

શિક્ષકોની રજાઓ અંગે દિલ્હી HCના પ્રશ્નો 

ચૂંટણી પંચના વકીલે દલીલ કરી હતી કે શિક્ષકોને ફક્ત રજાઓ અને શિક્ષણ સિવાયના કલાકો દરમિયાન જ કામ કરવાની જરૂર છે. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શિક્ષકોને નિયમિત સરકારી કર્મચારીઓની જેમ રજા કેમ નથી મળતી અને રજાઓ દરમિયાન તેમને બૂથ લેવલ ઓફિસર તરીકે કેમ કામ કરવાનું કહેવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે ભારતીય ચૂંટણી પંચને તેની સ્થિતિ સમજાવતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને આગામી સુનાવણી 28 જુલાઈ માટે નક્કી કરી છે. દિલ્હી હાઈકોર્ટ વકીલો રાજેશ કુમાર ગોગના અને અશોક અગ્રવાલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ચૂંટણી સંબંધિત કાર્ય માટે શિક્ષકોનો ઉપયોગ કરવાના ભારતના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

કલમ 324 શું છે?

ભારતીય બંધારણની કલમ 324 દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના અને સત્તાઓ સાથે સંબંધિત છે. તે સંસદ, રાજ્ય વિધાનસભાઓ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું નિર્દેશન, નિયંત્રણ અને સંચાલન કરે છે. 

આ પણ વાંચોઃ કેબિનેટે સુધારા વિધેયકને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઇ