15 જૂનનો દિવસ ગુજરાત સહિત દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. રાજકીય ઉથલપાથલ, નવી સરકારી નીતિઓ, ધાર્મિક પર્વ અને હવામાનમાં મોટા ફેરફારો સાથે આજના દિવસે કઈ કઈ મોટી ઘટનાઓ આકર્ષણનું કેન્દ્ર રહેશે, તેના પર એક નજર કરીએ.


નવી ઔદ્યોગિક નીતિ 2026નું ભવ્ય લોન્ચિંગ

ગુજરાત સરકાર 15 જૂનના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી રાજ્યની "ઔદ્યોગિક નીતિ-2026" જાહેર કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નીતિ લોન્ચ કરાશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનેલી આ નીતિમાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ', MSMEને મજબૂતી આપવી તથા ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ડ્રોન અને રોબોટિક્સ જેવા આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગોમાં મોટું રોકાણ લાવવાનું લક્ષ્ય રખાયું છે.

ગાંધીનગરમાં ખેડૂતોનું મોટું આંદોલન

વીજપોલ અંગે વળતર મેળવવા અને અન્ય સળગતા મુદ્દાઓ સાથે 15 જૂનના રોજ સમગ્ર રાજ્યના ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. આ મોટા આંદોલનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનની સ્લોવાકિયાની ઐતિહાસિક યાત્રા 

ભારતના વડાપ્રધાન 14 થી 16 જૂન દરમિયાન પ્રથમ વખત સ્લોવાકિયા (બ્રાતિસ્લાવા) ની યાત્રા પર રહેશે. જ્યાં તેઓ 15 જૂનના રોજ સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની સાથે વ્યાપાર, સંરક્ષણ અને રોકાણ જેવા મહત્વના મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરશે.

જેવર એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ

ઉત્તર પ્રદેશના નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) થી 15 જૂનના રોજ વાણિજ્યિક ઉડાન સેવાઓનો પ્રારંભ થશે. ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ સવારે 7:05 વાગ્યે લખનઉથી રવાના થઈ 8:05 વાગ્યે જેવર પહોંચશે.

નિતિન ગડકરીનો શિલાંગ પ્રવાસ 

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પૂર્વોત્તર રાજ્યોમાં રોડ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના કાર્યક્રમો માટે 15 જૂનના રોજ શિલાંગની મુલાકાતે રહેશે.

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન 

દિલ્હી-પુણે બાદ હવે જયપુરના શહીદ સ્મારક ખાતે 15 જૂનના રોજ સીજેપી પેપર લીક અને બેરોજગારી મુદ્દે મોટું પ્રદર્શન કરશે, જેમાં તેના સ્થાપક અભિજીત દીપકે હાજર રહેશે.

PG અભ્યાસક્રમો માટે GCAS નું એડમિશન પ્રક્રિયા શરૂ

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) કોોર્સમાં પ્રવેશ માટે 15 જૂનથી ઓનલાઈન ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થશે, જે 29 જૂન સુધી ચાલશે. 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે.

યુસુફ પઠાણ વિવાદ પર હાઈકોર્ટનો ચુકાદો શક્ય

વડોદરા મહાનગરપાલિકાની પ્લોટ વિવાદ અંગેની નોટિસ વિરૂદ્ધ પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે કરેલી અરજી પર 15 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના છે.

દેશના 17 રાજ્યોમાં ભારે વાવાઝોડા-વરસાદનું એલર્ટ

15 જૂનના રોજ હવામાન વિભાગ (IMD) એ દેશના 17 રાજ્યો (યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત સહિત) માં 70 થી 80 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે.

ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી 

15 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના ભાગોમાં 20 જૂન સુધી ગરમી રહેશે. 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા પણ છે.

બંગાળની રાજનીતિમાં ગરમાવો: TMC ના 19 બાગી સાંસદો સ્પીકરને મળશે

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 19 બાગી સાંસદો 15 જૂનના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને સંસદમાં અલગ ગુટ તરીકે માન્યતા માંગશે. મમતા બેનર્જીના ખાસ ગણાતા સુદીપ બંદ્યોપાધ્યાય અને શતાબ્દી રોય ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવના આવાસ પર જોવા મળતા બંગાળનું રાજકારણ ગરમાયું છે.

ઇકોનોમીમાં મોટો બદલાવ: નવી WPI અને PPI ઇન્ડેક્સ લોન્ચ

ભારત સરકાર 15 જૂનના રોજથી ફુગાવાના આંકડા માપવા માટે નવો 'પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ' (PPI) અને સુધારેલો 'હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ' (WPI) લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં બેઝ યર 2011-12 થી બદલીને 2020-23 કરાયું છે.

કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ

વર્ષ 2026ની કૈલાશ માનસરોવર યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ 15 જૂનના રોજ દિલ્હીથી સિક્કિમના 'નાથુ લા પાસ' રૂટ મારફતે રવાના થશે.

સોમવતી અમાસ

15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ છે, જેથી પવિત્ર નદીઓમાં સ્નાન અને પિતૃ તર્પણનું વિશેષ પુણ્ય મળશે.

અધિકમાસની પૂર્ણાહુતિ

હિન્દુ પંચાંગ અનુસાર 15 જૂનના રોજ પવિત્ર અધિકમાસ પૂર્ણ થઈ રહ્યો છે, જેથી ૧૯ જૂનથી ફરીથી લગ્નના શુભ મુહૂર્તો શરૂ થશે.

વિશ્વ ડેન્ગ્યુ દિવસ

ડેન્ગ્યુના ચેપ અને તેનાથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 15 જૂને આ દિવસ ઉજવાય છે.

ગ્લોબલ વિન્ડ ડે 

પવન ઊર્જાના પ્રચાર માટે ઉજવાતા આ દિવસ નિમિત્તે ભારત 15 જૂનના રોજ ગોવા ખાતે ખાસ કોન્ફરન્સની યજમાની કરી રહ્યું છે.

15 જૂનના રોજ જન્મેલા મહાનુભાવ

  • અન્ના હજારે (1937): ભારતના પ્રખ્યાત ગાંધીવાદી સામાજિક કાર્યકર્તા અને ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ આંદોલનના પ્રણેતા.
  • લક્ષ્મી મિત્તલ (1950): સ્ટીલ કિંગ તરીકે જાણીતા આર્સેલરમિત્તલ કંપનીના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ.
  • પ્રમોદ મહાજન (1949): ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કુશળ વ્યુહરચનાકાર.
  • શ્રીમન નારાયણ (1912): ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ગાંધીવાદી અર્થશાસ્ત્રી.

15 જૂનની ઐતિહાસિક ઘટનાઓ

  • મેગ્ના કાર્ટા (1215): ઇંગ્લેન્ડના કિંગ જોહ્ને પવિત્ર દસ્તાવેજ 'મેગ્ના કાર્ટા' પર હસ્તાક્ષર કર્યા, જે આધુનિક લોકશાહીનો પાયો બન્યો.
  • કોંગ્રેસ દ્વારા ભારત વિભાજનનો સ્વીકાર (1947): નવી દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભારતના ભાગલા અને પાકિસ્તાન નિર્માણના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી.
  • બોયિંગ કંપની (1916): વિશ્વની સૌથી મોટી વિમાન બનાવતી કંપની 'Boeing' ની સ્થાપના અમેરિકામાં થઈ હતી.
  • જાપાન સુનામી (1896): જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામીના કારણે 22000થી વધુ લોકોના મોત થયા હતા.
  • UEFA ની સ્થાપના (1954): યુરોપિયન ફૂટબોલની સંચાલક સંસ્થા 'UEFA' ની સ્થાપના સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી.


આ પણ વાંચો - US Iran Draft Memorandum Deal: હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, તેલ પરથી પ્રતિબંધ હટશે, જાણો ડ્રાફ્ટમાં શું છે ખાસ?


  • Follow us on: