હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશન તેમજ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાયો છે. બીજી તરફ મોન્થા વાવાઝોડુ આજે રાત સુધીમાં આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. હાલમાં મોન્થા વાવાઝોડાની સ્પીડ 90થી 100 કિ.મીની છે.


મોન્થા વાવાઝોડુ આજે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે

મોન્થા વાવાઝોડુ આજે રાત સુધીમાં આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. 100 કિ.મીની સ્પીડથી આ વાવાઝોડુ આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ, ઓડિસામાં રહેશે. જેના કારણે આંધ્ર, ઓડિસા, છત્તીસગઢ અને તેલંગાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ દરિયામાં ગયેલા માછીમારોને સૂચના આપીને પરત બોલાવાઈ રહ્યાં છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.


  • Follow us on: