આ દુર્ઘટનામાં પાઇલટ સહિત 5 જવાનોશહીદ થયા છે. મૃતકોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક કો-પાઇલટ ઘાયલ થયા છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી

ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુર્ઘટનાના કારણોની તપાસ માટે વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. આસામના જોરહાટ જિલ્લામાં શનિવારે (13 જૂન, 2026) ભારતીય વાયુસેનાનું એક પરિવહન વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના પાંચ જવાનોએ શહાદત વ્હોરી હતી. ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા

આ ઘટના ત્યારે બની જ્યારે 43 સ્ક્વોડ્રનનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રૌરિયા વિસ્તારમાં આવેલા વાયુસેના સ્ટેશન પર લેન્ડ થઈ રહ્યું હતું. વિમાનમાં સામાન ભરેલો હતો. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાન ક્રેશ થયા બાદ બે ભાગમાં તૂટી જતું અને ત્યારબાદ તેમાં આગ લાગી હોવાનું જોવા મળે છે.

ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર ખેમારામ કુમાવત અને અગ્નિવીર દાનિશ આલમે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. વાયુસેનાએ કહ્યું કે દુઃખની આ ઘડીએ તે શહીદ જવાનોના પરિવારોની સાથે મજબૂતાઈથી ઉભી છે.

રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જોરહાટમાં થયેલી AN-32 દુર્ઘટનામાં પાંચ એર વોરિયર્સના નિધનથી તેમને ઊંડું દુઃખ થયું છે. દેશ આ કપરા સમયમાં તેમના પરિવારજનોની સાથે છે.

દુર્ઘટનામાં કો-પાયલટનો જીવ બચ્યો

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કો-પાયલટનો જીવ બચી ગયો છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાના કારણોની તપાસ માટે વાયુસેનાએ તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.

  • Follow us on: