અમેરિકા દ્વારા રશિયા અને ઈરાન વિરુદ્ધ લાવવામાં આવેલા નવા પ્રતિબંધો અને 100% ટેરિફના પ્રસ્તાવ પર ભારતે અત્યંત મક્કમ અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દેશની ૧.૪ અબજથી વધુ વસ્તીની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે બાહ્ય દબાણ કે ટેરિફની ધમકીઓ સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર જ નિર્ણયો લેશે.
ટેરિફ સામે ઝૂકશે નહીં ભારત
ભારત સરકારે યુએસ કોંગ્રેસમાં પસાર થયેલા આ નવા કાયદાઓની નોંધ લીધી છે અને તે વૈશ્વિક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની ઉર્જા સુરક્ષા અકબંધ રાખવા માટે વિવિધ દેશો પાસેથી તેલ અને ગેસની આયાત ચાલુ રાખવામાં આવશે. બજારની વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ આયાત અંગેના નિર્ણયો લેવામાં આવશે.
