ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના નૌકાંચીમાં યમુનોત્રીના રસ્તા પર અવરજવર બંધ કરવામાં આવી છે. સોમવારે બપોરના સમયે યમુનોત્રીના રસ્તા પર અચાનક લેન્ડસ્લાઈડની ઘટના બની છે. આ જોતા કેટલાક શ્રદ્ધાળુઓએ ભાગદોડ કરીને પોતાના જીવ બચાવ્યા છે, ત્યારે કેટલાક લોકો આ વિસ્તારમાં ફસાઈ ગયા છે, મળતી માહિતી મુજબ એક શ્રદ્ધાળુ લેન્ડસ્લાઈડના કારણે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકો કાટમાળ નીચે ફસાયા છે.


રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી

સ્થાનિક અધિકારીઓએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વિસ્તારના કમિશનરે વધુ જાણકારી આપતા જણાવ્યું કે યમુનોત્રીના રસ્તા પર લેન્ડસ્લાઈડની જાણકારી આજે બપોરના સમયે થઈ હતી, તાત્કાલિક રેસ્ક્યુની ટીમ પહોંચી છે અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોની અવરજવર હાલમાં બંધ કરી દેવામાં આવી છે.

ચારધામ યાત્રા 30 એપ્રિલથી કરવામાં આવી

જિલ્લા અધિકારીએ જણાવ્યું કે યમુનોત્રી ધામ જવાના રસ્તા પર નોકેંચીમાં લેન્ડસ્લાઈડની ઘટના બની છે. જેમાં એક શ્રદ્ધાળુ ઘાયલ થયો છે. આ ઘાયલ થયેલો શ્રદ્ધાળુ મુંબઈનો રહેવાસી છે. હાલમાં તેને સારવાર માટે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર SDRF, NDRF, પોલીસ અને તંત્રના લોકો રાહત કામગીરીમાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ ગઈ હતી અને ત્યારબાદ 2 મેએ કેદારનાથ અને 4 મેએ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે દેવોની નગરી ઉત્તરાખંડમાં પહોંચી રહ્યા છે.   

  • Follow us on: