મધ્યપ્રદેશના જબલપુરમાં ભારતીય સેનાની ક્ષમતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા જબલપુરની વ્હીકલ ફેક્ટરી ખાતે ₹475 કરોડથી વધુના T-Series ટેન્ક ઓવરહોલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે શિલાન્યાસ કરી શિલાપટ્ટનું અનાવરણ કર્યું હતું.

https://twitter.com/rajnathsingh/status/2092901121371361304

આર્મર્ડ ફેક્ટરીએ પોતાની કામગીરીથી દેશભરમાં વિશેષ ઓળખ બનાવી

મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના રક્ષા ક્ષેત્રમાં મોટો બદલાવ આવી રહ્યો છે. જબલપુરની આર્મર્ડ ફેક્ટરીએ પોતાની કામગીરીથી દેશભરમાં વિશેષ ઓળખ બનાવી છે. નવી ટેક્નોલોજી અને આધુનિક પડકારોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં વિવિધ રક્ષા ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે.

રાજનાથ સિંહે જણાવ્યું કે યુદ્ધની ટેક્નોલોજી સતત બદલાઈ રહી છે અને સેનાને પણ સતત અપગ્રેડ કરવી જરૂરી છે. ડ્રોન, મિસાઈલ અને સાયબર ટેક્નોલોજીના વધતા ઉપયોગ છતાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં ટેન્કનું મહત્વ યથાવત છે. આ પ્રોજેક્ટથી ટેન્કને આધુનિક બનાવવાની ક્ષમતા વધશે અને સ્થાનિક યુવાનો તથા નાના ઉદ્યોગોને રોજગારી અને વ્યવસાયની તકો મળશે.

રક્ષા નિકાસ પણ લગભગ ₹1,000 કરોડથી વધીને ₹39 હજાર કરોડ થઈ

રક્ષા મંત્રીએ જણાવ્યું કે 2014માં ભારતનું ઘરેલું રક્ષા ઉત્પાદન ₹46 હજાર કરોડ હતું, જે હવે વધીને ₹1.80 લાખ કરોડ થયું છે. રક્ષા નિકાસ પણ લગભગ ₹1,000 કરોડથી વધીને ₹39 હજાર કરોડ થઈ છે. 2030 સુધી રક્ષા નિકાસને ₹50 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે દેશે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. નવી ટેક્નોલોજી સાથે જબલપુરને ભવિષ્યમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : Maharashtra : CM ફડણવીસનો મોટો નિર્ણય, ઓટો-ટેક્સી ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરવા મામલે લગાવી રોક