Mumbai-Ahmedabad Bullet Train: ભારતમાં હાઈ-સ્પીડ રેલવેને લઈને લાંબા સમયથી ચાલી રહેલી તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી બુલેટ ટ્રેનનું ટ્રાયલ મે અથવા જૂન 2027 દરમિયાન શરૂ થવાની સંભાવના છે.
પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે ?
ટ્રાયલ બાદ અંદાજે બે થી ચાર મહિનાની પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરવાની યોજના છે. શરૂઆતમાં આ સેવા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના તૈયાર થયેલા એક ભાગ પર શરૂ કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે કર્યો ખુલાસો
વડોદરામાં આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેનનું પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ચૂક્યું છે અને તેને જરૂરી સ્ક્વિઝ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે.
https://www.instagram.com/reel/DdBpf5rDB3C/
મંત્રીના જણાવ્યા પ્રમાણે, 2027ના મે-જૂન સુધીમાં સ્વદેશી બુલેટ ટ્રેન ટ્રાયલ માટે પાટા પર દોડતી જોવા મળી શકે છે. ટ્રાયલ અને અન્ય જરૂરી પરીક્ષણો પૂર્ણ થયા બાદ મુસાફરો માટે સેવા શરૂ કરવામાં આવશે. આ ટ્રેન શરૂ થયા પછી વડોદરા અને મુંબઈ વચ્ચેનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે. વૈષ્ણવે કહ્યું હતું કે બુલેટ ટ્રેન દ્વારા વડોદરાથી મુંબઈનું અંતર આશરે દોઢ કલાકમાં કાપી શકાશે.
મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ કેટલે પહોંચ્યુ ?
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું બાંધકામ અનેક તબક્કામાં આગળ વધી રહ્યું છે. હાલ પ્રોજેક્ટના કેટલાક મહત્વપૂર્ણ વિભાગોમાં કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મળતી માહિતી મુજબ, સુરત-વાપી સેક્ટર ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરિડોરના અન્ય વિભાગો પણ શરૂ કરવાની યોજના છે.
બુલેટ ટ્રેન સેવા તબક્કાવાર શરૂ કરવાની સંભવિત રૂપરેખા
- સુરત-બિલિમોરા: પ્રથમ તબક્કામાં સેવા શરૂ કરવાની યોજના.
- વાપી-સુરત: બીજા તબક્કામાં કામગીરી શરૂ થઈ શકે છે.
- વાપી-અમદાવાદ: ત્રીજા તબક્કામાં જોડાશે.
- અમદાવાદ-ઠાણે: ચોથા તબક્કામાં સેવા વિસ્તરશે.
- ઠાણે-મુંબઈ: અંતિમ તબક્કા બાદ અમદાવાદથી મુંબઈ સુધી સંપૂર્ણ સેવા શરૂ થશે.
'આત્મનિર્ભર ભારત' પર ભાર
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને માત્ર ઝડપી પરિવહન સેવા તરીકે નહીં પરંતુ ભારતની સ્વદેશી ટેક્નોલોજી ક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત'ના વિઝન સાથે આગળ વધી રહ્યો છે.
તેમણે રેલવે ક્ષેત્રમાં ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અંગે પણ વાત કરી. તેમના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ સિસ્ટમ, રિઝર્વેશન પ્લેટફોર્મ અને બાંધકામ સાથે જોડાયેલા જૂના નિયમો અને પ્રક્રિયાઓમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટા ફેરફાર
રેલવે મંત્રીએ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ચિનાબ બ્રિજ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયાની વાત કરી હતી. મિઝોરમને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડવાના પ્રોજેક્ટને પણ તેમણે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી.
વૈષ્ણવના જણાવ્યા અનુસાર, દેશભરમાં આશરે 280 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે અને હજારો કિલોમીટર નવા રેલવે ટ્રેકનું નિર્માણ થયું છે. વંદે ભારત ટેક્નોલોજી આધારિત નવી કાર્ગો ટ્રેનો વિકસાવવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે કોરોના મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની ગતિ જાળવી રાખવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ ભારતીય રેલવેને વધુ આધુનિક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે.
દેશમાં અન્ય 7 બુલેટ ટ્રેન કોરિડોર પણ પ્રસ્તાવિત
મુંબઈ-અમદાવાદ કોરિડોર ઉપરાંત દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કને વિસ્તૃત કરવાની લાંબા ગાળાની યોજના પણ છે. તેમાં નીચેના કોરિડોરનો સમાવેશ થાય છે:
- દિલ્હી-વારાણસી
- વારાણસી-પટના-સિલિગુડી
- મુંબઈ-પુણે
- પુણે-હૈદરાબાદ
- બેંગલુરુ-ચેન્નાઈ
આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન