મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે સાકીનાકાના ખૈરાણી રોડ પર એક હૃદયદ્રાવક ઘટના બની હતી. યાદવ નગરમાં રહેતા 60 વર્ષીય અસલમ ઇશાક શેખ બપોરે આશરે 12:26 વાગ્યે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓ મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હોવાથી તેમનું ધ્યાન ભટકી ગયું અને તેઓ ખુલ્લા મેનહોલમાં પડી ગયા.


વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 

પાણીના પ્રચંડ પ્રવાહમાં વૃદ્ધ તણાઈ

મળતી માહિતી મુજબ ઘટના સમયે ખાનગી કોન્ટ્રાક્ટરના ત્રણ કર્મચારીઓ મેનહોલનું ઢાંકણું ખોલીને સફાઈ અને સમારકામનું કામ કરી રહ્યા હતા. વૃદ્ધને પડતા જ કર્મચારીઓએ તરત જ મેનહોલમાં સીડી ઉતારી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા. બચાવ દરમિયાન માત્ર તેમની છત્રી અને ચપ્પલ જ મળી શક્યા.

ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો

ઘટનાની જાણ થતાં મુંબઈ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમે તરત જ શોધખોળ શરૂ કરી હતી. લગભગ અઢી કલાક બાદ બપોરે 2:15 વાગ્યે ડ્રેનેજ સિસ્ટમની અંદરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

મુંબઈમાં સતત વરસતા વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને પાણી ભરાયેલા વિસ્તારો, ખુલ્લા મેનહોલ અને તેજ પ્રવાહવાળા સ્થળોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

આ પણ વાંચો : Noida International Airport: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ સફર વધશે, ઈન્ડિગો અને અકાસા એરે શરૂ કરી નવી ફ્લાઈટ્સ