પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓની મુદત પૂરી થવાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે.
મધ્યપ્રદેશમાં વધારાના ઉમેદવારથી સર્જાયેલું સસ્પેન્સ
મધ્યપ્રદેશની 3 બેઠકો માટે ભાજપે બે નિયમિત ઉમેદવારો ઉપરાંત મહેશ કેવટેના રૂપમાં ત્રીજો વધારાનો ઉમેદવાર ઉતારીને કોંગ્રેસની મીનાક્ષી નટરાજન માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. રાજ્યની વિધાનસભાની વર્તમાન સ્થિતિ જોતાં ભાજપ પાસે બે બેઠકો અને કોંગ્રેસ પાસે એક બેઠક સરળતાથી જીતવા જેટલું સંખ્યાબળ છે. કોંગ્રેસ પાસે જીતવા માટે જરૂરી 58 મતો કરતાં 4 ધારાસભ્યો વધુ છે, જ્યારે ભાજપ પાસે બે બેઠકો જીત્યા પછી 48 મતો વધે છે. ભાજપને પોતાની ત્રીજી બેઠક જીતવા માટે વધુ 10 મતોની જરૂર છે, જે માત્ર કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગ (પક્ષ વિરોધી મતદાન) દ્વારા જ શક્ય બની શકે છે. જો કોંગ્રેસના ધારાસભ્યો તૂટે તો જ ભાજપની આ રણનીતિ સફળ થાય, જેના કારણે મધ્યપ્રદેશની ચૂંટણીમાં સસ્પેન્સ ચરમસીમાએ પહોંચ્યું છે.
ઝારખંડમાં ઉદ્યોગપતિની એન્ટ્રી અને હોર્સ-ટ્રેડિંગનો ભય
ઝારખંડની ૨ બેઠકો માટે શાસક ગઠબંધન (JMM અને કોંગ્રેસ) પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બંને બેઠકો જીતવા માટે પૂરતું છે. પરંતુ ભાજપ અને NDA ના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ પરિમલ નથવાણીની એન્ટ્રીએ આખી રમત બદલી નાખી છે. NDA પાસે પોતાના 24 ધારાસભ્યો છે અને નથવાણીને જીતવા માટે વિપક્ષી છાવણીમાંથી ઓછામાં ઓછા 4 વધુ મતો તોડવા પડે તેમ છે. બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધી જતાં ઝારખંડ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ-ટ્રેડિંગ) અને હેરાફેરીનો ભય ખૂબ વધી ગયો છે. જો પ્રથમ પસંદગીના મતો પૂરા ન થાય, તો બંને રાજ્યોમાં પરિણામોનો નિર્ણય બીજી પસંદગીના મતોના આધારે લેવામાં આવશે.
અન્ય રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ અને 2/3 બહુમતીનું લક્ષ્ય
મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ભલે રસાકસી હોય, પણ ગુજરાત જેવા રાજ્યોમાં ભાજપનું સંપૂર્ણ વર્ચસ્વ છે. ગુજરાતની 4 બેઠકો પર ભાજપે રાજુભાઈ શુક્લા અને મુકેશ રાઠવા સહિત ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યાં વિપક્ષે કોઈ ઉમેદવાર ન ઉતારતા ભાજપનો બિનહરીફ વિજય નક્કી છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશમાં ટીડીપી-જનસેનાના મજબૂત પ્રદર્શન, ઓડિશામાં સત્તા પરિવર્તન અને મહારાષ્ટ્રમાં મજબૂત જોડાણને કારણે પણ રાજ્યસભામાં NDA ની શક્તિ સતત વધી રહી છે. જો આગામી સમયમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થતા ૧૨ સભ્યોના સમર્થન સાથે NDA 164 બેઠકોનો ઐતિહાસિક આંકડો પાર કરી લેશે, તો દેશમાં બંધારણીય સુધારાઓ અને મહત્વના બિલ પસાર કરવા માટે તેમની પાસે અભૂતપૂર્વ રાજકીય શક્તિ આવી જશે.
આ પણ વાંચો: UN: અફઘાનિસ્તાનમાં હુમલો નરસંહાર, પાખંડ.. UNમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યુ