સંસદ પરિસરમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે લોકસભા સચિવાલયે સાંસદોને મહત્વપૂર્ણ સૂચના આપી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને અનુસરવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે સંસદ ભવન પરિસર અને ત્યાંના માર્ગો સાંસદોની અવરજવર માટે સંપૂર્ણ રીતે ખુલ્લા અને અવરોધ રહિત રાખવામાં આવવા જોઈએ.
આ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ
જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ સંસદ પરિસરમાં અથવા માર્ગો અને સીડીઓ પર બેનર, પોસ્ટર, પ્લેકાર્ડ, લાકડી, ભાલા, તલવાર, ડંડા તેમજ ઈંટ-પથ્થર જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષે અગાઉ પણ સાંસદોને સંસદમાં પોસ્ટર, બેનર અથવા પ્લેકાર્ડ ન લાવવાની સલાહ આપી હતી, છતાં કેટલાક સાંસદો દ્વારા સંસદ પરિસરમાં આવા પ્રદર્શન જોવા મળ્યા છે.
કેટલાક સાંસદોના સસ્પેન્શનના મુદ્દે વિરોધ પ્રદર્શન
તાજેતરમાં સંસદના મકર દ્વાર પાસે વિરોધ પક્ષના સાંસદો એલપીએજીની અછત અને કેટલાક સાંસદોના સસ્પેન્શનના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક પ્રસંગે વિરોધ દરમિયાન રાહુલ ગાંધીએ મકર દ્વારની સીડીઓ પર બેઠેલા સાંસદો સાથે ચા-નાસ્તો પણ કર્યો હતો. ઉપરાંત, સંસદની અંદર પણ કેટલાક સાંસદોએ વાસણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.
લોકસભા સચિવાલયે બુલેટિનમાં માર્ગદર્શિકા 124A(2)(3)નો ઉલ્લેખ કર્યો છે, જેમાં સંસદ પરિસરમાં કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુલેટિનમાં ખાસ નોંધ કરવામાં આવી છે કે કેટલાક પોસ્ટર અને પ્લેકાર્ડ પર AI દ્વારા બનાવેલી આપત્તિજનક તસવીરો અને નારા પણ જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Shivalik LPG Ship: LPG લઈને ભારતમાં પહોંચેલું 'શિવાલિક' જહાજ એક કલાકમાં કેટલું વાપરે છે તેલ?, જાણો