વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી 17 ઓક્ટોબર સુધી 'સંકલ્પ સેવા અભિયાન' ની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવવા માટે દેશભરમાં વિવિધ સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે
આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદી 'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે 11,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી કરી હતી.
વારાણસીથી વડનગર સુધી વિશાળ બાઇક રેલી નીકાળાશે
આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ 'સેવા સંકલ્પ બાઇક યાત્રા' છે. પીએમ મોદીના વતન વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી આ વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. વડનગરમાં ભવ્ય કળશ યાત્રા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. વારાણસીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લલિતા ઘાટ પર પૂજા-અર્ચના કરી રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા ૨૨ દિવસમાં ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામોને આવરી લેશે, જેના દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
પીએમના જન્મદિવસ નિમિત્તે દીપોત્સવનું આયોજન
આ ઉપરાંત, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિપ્રા ઘાટ પર આશરે ૩૦,૦૦૦ સ્વયંસેવકો દ્વારા ૨.૫ મિલિયનથી વધુ દીવા પ્રગટાવીને પ્રકાશનો આ મહાત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં સેવા અને સમર્પણના આ અભિયાન સાથે પીએમ મોદીના જન્મદિવસને એક યાદગાર ઉત્સવ તરીકે બનાવ્યો છે.
આ પણ વાંચોઃ Tariff: ભારત અને ચીન પર 100% ટેરિફનો ખતરો, યુએસ હાઉસે રશિયા પ્રતિબંધ બિલ મંજૂર કર્યું