મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જાય. ઇન્દોરમાં યોજાયેલા ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત મિમિક્રીને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ફડણવીસે આ ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધીને લઈને ફડણવીસે શું કહ્યું?

ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે મિમિક્રી કરી રહ્યા છે, તે જોતા તેમને પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ ‘બેરોજગાર’ થઈ ગઈ છે, તેથી જો તેઓ કોમેડિયન બનવાનો વિકલ્પ પસંદ કરે તો ઓછામાં ઓછું તેમને કામ તો મળી જશે. 

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જને લઈને પણ વાત

ફડણવીસે કહ્યું કે કેટલાક લોકો ચોક્કસ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાના મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ પંપ સંચાલકોએ કથિત રીતે કહ્યું છે કે જો સરકાર સુધારેલા ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR)ને પાછો નહીં ખેંચે તો તેઓ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દેશે. 

UPIથી વેપાર વધ્યો: ફડણવીસ

પેટ્રોલ પંપ સંચાલકોની આ માંગ અંગે ફડણવીસે કહ્યું કે આવું વલણ યોગ્ય નથી, કારણ કે UPIથી તેમના વેપારમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપના ટ્રાન્ઝેક્શન હવે વધુ પારદર્શક બન્યા છે અને લોકો પણ મોટા પ્રમાણમાં UPIનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ માટે ખૂબ જ મામૂલી ચાર્જ લગાવવામાં આવ્યો છે. 

MDRની ભલામણ અંગે કોંગ્રેસનો પણ ઉલ્લેખ

ફડણવીસે કહ્યું કે MDR લગાવવાની ભલામણ કરનારી સંસદીય સમિતિમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને કોંગ્રેસના અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. તેમણે કહ્યું કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ નહીં થાય, પરંતુ માત્ર નક્કી કરાયેલા ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. ફડણવીસે કહ્યું કે વેપારને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં UPI તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે કહ્યું કે ખર્ચની ભરપાઈ માટે મામૂલી ચાર્જ લગાવવો યોગ્ય છે અને પેટ્રોલ પંપ માલિકો તથા વેપારીઓએ તેનો વિરોધ ન કરવો જોઈએ.

આ પણ વાંચો: Rahul Gandhiના મિમિક્રી વીડિયો પર BJP લાલઘૂમ, વૃદ્ધ માતાની મજાક... !