ઇથેનોલ મિશ્રિત ઇંધણ (E20 Fuel)ના અમલીકરણના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) અને ટ્રાન્સપોર્ટ યુનિયનો સક્રિય બન્યાં છે. એક તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી, જ્યારે બીજી તરફ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ E20 પેટ્રોલના વિરોધમાં સંસદ તરફ માર્ચ કરવાની તૈયારી દર્શાવી છે. જેના કારણે આ મુદ્દે રાજકીય અને જાહેર ચર્ચા વધુ તેજ બની છે.
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સમગ્ર દેશમાં E20 પેટ્રોલ લાગુ કરવાનો નિર્ણય સામાન્ય લોકો અને કરોડો વાહન માલિકો પર વધારાનો આર્થિક બોજ નાખે છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલાં લોકો સાથે પૂરતી ચર્ચા કરી નહોતી અને ખાસ કરીને જૂના વાહનો પર તેના સંભવિત પ્રભાવ અંગેની ચિંતાઓને અવગણવામાં આવી હતી.
આ મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલ આજે પોતાના સમર્થકો સાથે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન તરફ રેલી લઈને નીકળ્યા હતા. તેમનો દાવો છે કે સરકાર લોકોની ચિંતાઓ સાંભળ્યા વિના E20 પેટ્રોલને ફરજિયાત બનાવવા પ્રયાસ કરી રહી છે.
રસ્તા પર ધરણા પર બેઠા કેજરીવાલ
માર્ચ દરમિયાન પોલીસ દ્વારા ફિરોઝશાહ રોડ પર કેજરીવાલના કાફલાને રોકી દેવામાં આવ્યો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને મોટી સંખ્યામાં AAP કાર્યકરો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા.
ધરણા દરમિયાન અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે અમેરિકા ના દબાણ હેઠળ ભારતમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેનો સૌથી વધુ પ્રભાવ સામાન્ય વાહનચાલકો પર પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સરકાર લોકહિત કરતાં અન્ય દબાણોને વધુ મહત્વ આપી રહી છે.
2.30 લાખ હસ્તાક્ષર સાથે PMને મળવાની માગ
કેજરીવાલે દાવો કર્યો કે તેઓ પોતાના સાથે 2.30 લાખથી વધુ લોકોના હસ્તાક્ષરવાળી અરજી (પિટિશન) લઈને આવ્યા છે. તેમનું કહેવું છે કે આ તમામ લોકો E20 પેટ્રોલને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કરે છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની માંગ કરતાં કહ્યું કે તેઓ સીધા સરકાર સમક્ષ લોકોની ચિંતાઓ રજૂ કરવા માંગે છે.
કેજરીવાલે કહ્યું, "અમે અહીં કોઈ રાજકીય કાર્યક્રમ કરવા નથી આવ્યા. અમે માત્ર પ્રધાનમંત્રીને મળીને લોકોનો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. સરકાર સામાન્ય જનતા પર બળજબરીથી E20 પેટ્રોલ લાદવાનું બંધ કરે."
ભારે પોલીસ બંદોબસ્ત
ફિરોઝશાહ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓની દેખરેખ હેઠળ છે.
E20 પેટ્રોલ મુદ્દે વધતા વિરોધ વચ્ચે હવે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચેનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને જૂના વાહનો, ઇંધણ ખર્ચ અને વાહન જાળવણીને લઈને લોકોમાં ઉઠેલા પ્રશ્નો હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.